(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વલસાડ સ્ટેશન રોડ પર આવેલ શતાબ્દી માર્કેટમાં કાર્યરત મોબાઈલ એસેસરી રેલવે ઈ ટિકિટ શોપમાં પાછળના ભાગે બાકોરૂ પાડી તસ્કરો ગતરાત્રે ચોરી કરી પલાયન થઈ જતા દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સ્ટેશન રોડ ઉપર આવેલ શતાબ્દી માર્કેટમાં દુકાન નં.11માં મોસીન પારૂખ શેખ મોબાઈલ એસેસરી અને રેલવે ઈ ટિકિટ, મોબાઈલ મની ટ્રાન્સફર વગેરેનો વ્યવસાય ચલાવી રહ્યા છે. આજે રવિવારે તેઓએ દુકાન ખોલી ત્યારે સરસામાન વેરવિખેર પડેલો જોતા તપાસ કરી તોદુકાનની પાછળ બાકોરૂ જણાયું હતું. દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું. પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. મોસીન શેખના જણાવ્યા અનુસાર એક અઠવાડીયા પહેલાં પણ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરો અઠવાડીયામાં બીજીવાર હાથફેરો કરી ગયા હતા. આજે 15 હજાર રોકડા અને મોબાઈલ એસેસરી વગેરેની ચોરી થતા માર્કેટમાં પણ ચકચાર મચી જવા પામી હતી.