(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 21: જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્ય કેળવવા માટે વલસાડ ધરમપુર રોડ પર આવેલી ખારવેલ પ્રાથમિક શાળામાં તા. 20 અને 21 જુલાઈના રોજ બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તા. 20મીએ ધો. 1થી 5 માટે બાળમેળાનું અને તા. 21મીએ ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે મનોરંજન અને જ્ઞાન મેળવે તે માટે ટોક શો, રંગોળી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ અને ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં આવતા પડકારોને હકારાત્મકતા સાથે ઝીલવા અને દૈનિક જીવનની જરૂરીયાતોને કુશળતા પૂર્વક કરી શકવા સક્ષમ બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, ફ્યુઝ બાંધવો, સ્ક્રુ લગાવવું, કૂકર બંધ કરવું, ટાયરનું પંક્ચર રીપેર કરવું, વજન-ઉંચાઈ માપવી વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરી પાડતી મેરી કોમ ફિલ્મ બતાવાઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.