અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે : મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. વર્ષ ૨૦૦૧માં સ્થાપિત આ શાળામાં પ્લેગૃપ નર્સરીથી ધો.૧૨ સાયન્સ, કોમર્સ અને હ્યુમાનિટીસ પ્રવાહના ૨૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ ૧૧૫ જેટલા શિક્ષકો છે. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ માર્ચિંગ બેન્ડ સાથે મંત્રીશ્રીને આવકાર્યા હતા. નાના બાળકોએ ૩ જુદી જુદી ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વાગત પ્રવચન કરી તેમજ વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય કરી હાજર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ‘ભારત હમકો જાન સે પ્યારા હે’ ગીત ઉપર દેશભક્તિ નૃત્ય રજૂ કર્યું હતું. શૈક્ષણિક અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓના સંચાલન માટે ચૂંટાયેલા ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને બેજ આપી સન્માનિત કર્યા હતા.
ચૂંટાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, “અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ પણ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બદલ શિક્ષકો, શાળા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો શારિરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બને છે. શાળા દરેક ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહી છે અને ભવિષ્યમાં હજી સારૂ કાર્ય કરે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વાપી નોટિફાઈડ એરિયાના સંગઠન પ્રમુખશ્રી હેમંત પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખશ્રી સતિષ પટેલ, શાળાના ટ્રસ્ટીશ્રી સી.વી.મેથ્યુસ અને શ્રી જોબી ટી. રાજન, શાળાના આચાર્યા સુનિતા રાજપુત, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.