(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: રાષ્ટ્રવાદી સંગઠન તિરંગા દ્વારા આગામી 26 જુલાઈ કારગિલ વિજયદિવસના અવસર ઉપર ઈન્ડિયન નેશનલ એન્થમ ડ્રાઈવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઈન્ડિયન નેશનલ એન્થમ ડ્રાઈવ્સમાં ભારત સહિત વિશ્વમાં જુદા જુદા દેશોમાં રહેતા ભારતીય અંદાજે 75 લાખ જેટલા લોકો જોડાશે.
સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંસ્થાના રાષ્ટ્રીય સંરક્ષક પૂજ્ય કપિલ સ્વામીના જણાવ્યા પ્રમાણે સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝા તથા સેલ્યુટ તિરંગાના યુએસએના પ્રેસિડેન્ટ અમિત પટેલ તથા સેલ્યુટ તિરંગાના અન્ય ગણમાન્ય હોદ્દેદારોના સહયારા પ્રયાસથી આગામી તારીખ 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના અંતર્ગત સેલ્યુટ તિરંગા દ્વારા ગ્રાન્ડ ઓર્ગેનાઈઝ ઓફ કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં એક જ નિર્ધારિત સમયે ભારતીય રાષ્ટ્રીય ગાન વિશ્વના 75 લાખ લોકો એક સાથે કરશે.
સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય સંરક્ષક એવા પૂજ્ય કપિલ સ્વામીજી હાલ અમેરિકાના પ્રવાસે છે અને વિવિધ દેશોમાં સેલ્યુટ તિરંગાની આ ઝુંબેશને પ્રચાર પ્રસાર સાથે આગળ વધારી રહ્યા છે.
અમેરિકાના કેલ્હૌન જ્યોર્જિયા. ચાર્લોટ એનસી. ફલોરેન્સ એસસી અને ડેટ્રોઈટ મી મા મોટા ટાઉન હોલમાં સેંકડો ભારતીયો કપિલ સ્વામીજી સાથે આ નેશનલ એંથમ ડ્રાઈવમાં જોડાશે. શ્રીસ્વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએના પ્રમુખ શ્રી કમલેશ પટેલ અને એમની ટીમ પણ જોડાશે. આ પ્રસંગે ચીખલી ગુરુકુળના પ્રમુખ ઘનશ્યામ સ્વામીજી પણ કપિલ સ્વામીજી સાથે જોડાશે.
26 જુલાઈના રોજ આપણા ભારતીય સૈન્ય એ પાકિસ્તાની ઘૂસણખોર સૈન્યને હરાવીને કારગિલમાં ભારતીય ધ્વજને લહેરાવ્યો હતો તેથી આ દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય સૈન્ય એ દુશ્મનોના દાત ખાટા કરી જડબાતોડ જવાબ આપી ભારતભૂમિની રક્ષા કરી હતી. આ યુદ્ધમાં આપણા અનેક જવાનો પણ શહીદ થયા હતા તેમના માનમાં સેલ્યુટ તિરંગા દ્વારા વૈશ્વિક ભારતીય નેશનલ એન્થમ ડ્રાઈવનો કાર્યક્રમનું આયોજન થયું છે.