-
દેશમાં મોદી સરકારના ગઠન બાદ સંઘપ્રદેશમાં શોષિત, પીડિત, વંચિત, દલિત અને આદિવાસી સમુદાયને શિક્ષિત બનાવવા પ્રશાસન દ્વારા મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ જેવા અનેક અભ્યાસક્રમોની શરૂ કરવામાં આવેલી કોલેજોઃ મુકેશ ગોસાવી
-
રાજાનો દિકરો રાજો નહીં પરંતુ હવે પ્રતિભા ધરાવતા છેવાડેના લોકો પણ ઉચ્ચસ્થાન સુધી પહોંચી શકે છે તે વાત હેમલતાબેન સોલંકીના દૃષ્ટાંત ઉપરથી પણ જોઈ શકાય છેઃ કિશોરભાઈ દમણિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દીવ નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીનું આજે ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકારના ગઠન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમાજના શોષિત, પીડિત, વંચિત, દલિત અને આદિવાસી સમુદાય ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આ સમાજ શિક્ષિત બને તે માટે પ્રશાસન દ્વારા મેડિકલ, એન્જિનિયરીંગ, ત્રિપ્પલ આઈટી, પેરામેડિકલ, નર્સિંગ, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી જેવા અભ્યાસક્રમોની કોલેજો શરૂ કરવામાં આવી છે. તેમણે વિશ્વ વંદનીય ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ના સૂત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ઘણી મુશ્કેલીઓ હળવી બનતી હોય છે. તેમણે દાવા સાથે જણાવ્યું હતું કે, જો તમારી પાસે યોગ્ય પ્રતિભા હશે તો મોદી સરકારમાં તમને ઊંચી ઉડાન ભરવાની અનેક તકો મળી શકશે.
શ્રી મુકેશ ગોસાવીએ દીવ નગરપાલિકામાં ભાજપ પાસેતમામ 13 બેઠકો હોવા છતાં એક આપણી બહેનને પ્રમુખનું પદ સોંપવામાં આવે તે હકીકત ફક્ત ભાજપ અને મોદી સરકારમાં જ સંભવ બની શકે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ જણાવ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ. તેમણે શ્રીમતી હેમલતાબેન સોલંકીને અભિનંદન આપી તેમના ઉપર મુકેલા વિશ્વાસને સાર્થક કરવા હાકલ કરી હતી. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, રાજાનો દિકરો રાજો જ બને એ વાત આ સરકારે ભૂલાવી દીધી છે. જો તમારી પાસે પ્રતિભા હશે તો છેવાડેના વ્યક્તિને પણ ઉચ્ચ સ્થાને પહોંચવાની તક મળી શકે એ દૃષ્ટાંત હેમલતાબેનમાંથી પણ જોઈ શકાય છે.
પ્રારંભમાં ભામટી મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન પરમારે દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીએ પ્રમુખ સુધીની કરેલી સફરની ઝાંખી આપી હતી. તેમણે ખુબ જ ઉત્કૃષ્ટ રીતે સંચાલન પણ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત પી.એસ.આઈ. શ્રી ધનજીભાઈ જાધવે પણ નવનિર્વાચિત દીવ ન.પા.ના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પરિયારી, ભામટી, વરકુંડ જેવા વિસ્તારોમાંથી અનુ.જાતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાના પ્રદેશપ્રમુખ શ્રી નિમેષભાઈ દમણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.