સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાની સીધી દેખરેખ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં શરૂ થયેલા જન જાગૃતિના કાર્યક્રમો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: આગામી તા.11મી ઓગસ્ટથી ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હરઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા આજથી દમણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં રાત્રિ ચૌપાલ, વોર્ડ ગ્રામસભા અને પંચાયત ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાના સીધા નિરીક્ષણ હેઠળ દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં આજથી ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે શરૂ કરાયું છે.
દમણ જિલ્લાની તમામ પંચાયતોના સરપંચો, ગ્રામ પંચાયતના સેક્રેટરીઓ આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.