(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી ચીવલ રોડ હનુમાન ડુંગરી ખાતે રહેતા સ્વ. નરેશભાઈ ખંડુભાઈ નાયકાનું આજથી ચાર વર્ષ પહેલા અવસાન થતાં એમની પત્ની સોનલબેન, પિતા મંગુભાઈ તથા ત્રણ બાળકો મીનલ 12 વર્ષ, નીસિત દસ વર્ષ અને દીપ સાત વર્ષથી હાલત કફોડી બની જતા ખૂબ દારૂણ પરીસ્થિતિમાં જીવી રહ્યા હતા અને તેઓને રહેવા માટે માથા પર છત પર ન હોય મંગુભાઈ નાયકા પોતાના પૌત્ર સાથે બહાર ખુલ્લામાં સુવાની નોબત આવી હતી અને વિધવા સોનલબેન ભાંગી તૂટી ઝૂંપડીમાં રહી જીવન ગુજારી રહ્યા હતા.
પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અન્સારી જોગાનુંજોગ ત્યાંથી પસાર થતા તેઓને તેઓએ મંગુભાઈને પોતાના પોત્ર સાથે બહાર ખુલ્લામાં સુતેલા જોતા પૂછપરછ દરમિયાન તેઓ પાસે રહેવાનું ઘર ન હોય અને તેઓ ભાંગી તૂટી ઝૂંપડીમાં પોતાની વહુ સાથે રહી શકે એમ ન હોય તેઓ બહાર ખુલ્લામાં સૂતા હોવાનું જાણ થતા અલીભાઈ અન્સારીએ દયાની જ્યોત પ્રગટાવી માનવતાની રાહે તેઓએ ઘર બનાવી આપવાનું નિર્ધાર કર્યોહતો.
આ નિર્ધાર લઈ તેઓ માનવતાના રહે પારડીના દાતાઓ ડોક્ટર એમ એમ કુરેશી, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, ડોક્ટર જીજ્ઞા ગરાસીયા, ડોક્ટર પિયુષ પટેલ, સંજય બારીયા, રાકેશ પ્રજાપતિ, અખ્તર ગોરી, જાવેદભાઈ અતુલ, રાજન ભટ્ટ, મિનેશ પટેલ ચીચવાડા, કેતન પ્રજાપતિ, દેવેન્દ્ર શાહ, અશોક પ્રજાપતિ, નિલેશ ભંડારી, જીગ્નેશ પ્રજાપતિ, કલ્પેશ પરમાર, આસિફ ખત્રી, વિજય પટેલ, અને સુરેશ નાયકા જેવા દાતાઓના સહયોગથી એક સુંદર મજાનું ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરી હતી.
આજરોજ સ્વ. નરેશભાઈ નાયકાની જોગાનું જોગ ચોથી પુણ્યતિથિ હોય તે જ દિવસે જીવ દયા ગ્રુપ તથા અન્ય દાતાઓના સાથે આ નવા ઘરનું રીબીન કાપી ઉદ્ધાટન કરી ઘરના પરિવારને ઘરમાં પ્રવેશ કરાવી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ રસોઈના સાધનો અનાજ, ખાટલો વિગેરે તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ સાથે આપી એક ઘરવિહોણા પરિવારને ઘર બનાવી આપી માનવતાની મહેક પસરાવી હતી.
આ ઘર બનાવી આપવામાં દાતાઓ સહિત જીવદયા ગ્રુપના પ્રમુખ એવા અલીભાઈ અન્સારી, અશ્વિનભાઈ દેસાઈ, યાસીન મુલતાની તથા ભરતભાઈ પ્રજાપતિ ખૂબ મહેનત કરી એક ગરીબ આદિવાસી પરિવારને ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ સાથે ઘર બનાવી આપી એક માનવતાનું સુંદર કાર્ય પૂરુંપાડ્યું હતું.