વર્તમાન અને પરિવર્તન એમ બંને પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર પુરજોશમાં કરવામાં આવતા શિક્ષક વર્તુળમાં ગરમાયેલો રાજકીય માહોલ
(દિપક સોલંકી દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.10
આગામી તા.12મી ફેબ્રુઆરીના શનિવારના રોજ ચીખલી કુમાર-કન્યા શાળામાં બપોરે 12 થી 3 દરમ્યાન શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન થનાર છે. જેમાં કુલ 834 જેટલા શિક્ષક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગી આગામી ટર્મના હોદ્દેદારોને ચૂંટવા માટે કરશે.
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પરિવર્તન પેનલના પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હિતેનકુમાર ચંદુભાઈ પટેલની આગેવાનીમાં બીએલઓના પડતર પ્રશ્નોના નિરાકરણ, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ, નિવૃત્તિ વિષયક લાભોની અગ્રિમતા, ત્રિપલ સી બાબતે શિક્ષકોને થયેલા અન્યાયનું તાત્કાલિક ધોરણે નિરાકરણ, ઓનલાઇન કામગીરીનું ભારણ ઘટાડવા, એચટાટના હાયર ગ્રેડની કામગીરી સહિતના એજન્ડાઓ સાથે મેદાનમાં છે. પરિવર્તન પેનલના પ્રચારમાં મહિલા શિક્ષિકાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. આ સમગ્ર તાલુકામાં શિક્ષકો આ વખતેપરિવર્તનના મૂડમાં જણાઈ રહ્યા છે. પરિવર્તન પેનલમાં પ્રમુખ પદ માટે શ્રી હિતેશકુમાર ઉપરાંત ઉપ પ્રમુખ પદ માટે શ્રી યોગેનસિંહ પરમાર, મહામંત્રી પદ માટે શ્રી નીતીનભાઈ પટેલ, ખજાનચી માટે શ્રી રવિકુમાર ટંડેલ, સહમંત્રી માતાજી જીતેન્દ્ર કુમાર ધનગર મેદાનમાં છે.
જ્યારે સામે વર્તમાન મહામંત્રી શ્રી શંકરભાઈ તળાવીયા પ્રમુખ પદ માટે ઉપરાંત ઉપ પ્રમુખ માટે શ્રી કૌશિકકુમાર પટેલ, મહામંત્રી માટે શ્રી યોગેશકુમાર પટેલ, ખજાનચી માટે શ્રી અંકિત પટેલ, સહમંત્રી માટે શ્રી સુનિલ પટેલ સહિતનાઓ મેદાનમાં છે. કેટલાક જુના જોગીઓના સથવારે આ પેનલ પણ પ્રચાર કરી રહી છે. તાલુકામાં પરિવર્તનની લાગણી વચ્ચે કોણ મેદાન મારશે એ તો પરિણામ બાદ જ ખબર પડશે. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીને લઈને શિક્ષક વર્તુળમાં રાજકીય માહોલ ગરમાવા પમાયો છે.
ચૂંટણી અધિકારી તરીકે શ્રી ચેતનભાઈ પટેલ અને શ્રી સુરેશભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે.