(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: દેશના સ્વતંત્રતાના 75મા વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારની હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની યોજના છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે પ્રદેશવાસીઓને આગામી તા.13 થી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનને મજબુત કરવાની અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી દ્વારા કાલે શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત ‘હર ઘર તિરંગા’ અભિયાનને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પહોંચાડવાની જવાબદારી પ્રદેશ ભાજપાએ ઉઠાવી છે. આ ઝુંબેશ હેઠળ તા.13 થી 15 ઓગસ્ટ સુધી દેશના જન જન સુધી પ્રદેશના તમામ ઘરોમાં ભારતની આન બાન શાનના પ્રતિક એવા રાષ્ટ્ર ધ્વજ તિરંગાને પહોંચાડવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ દ્વારા કહ્યું છે કે આ ઝુંબેશ તિરંગાની સાથે અમારૂં જોડાણ વધુ ગાઢ બનાવશે. સાથે જ તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે 22મી જુલાઈ, 1947 ના દિવસે જ તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે આ વર્ષે આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તો આવો ‘હર ઘર તિરંગા’ આંદોલનને મજબુત કરીએ. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરોમાં તિરંગો ફરકાવો અથવા પ્રદર્શિત કરો. આ ઝુંબેશ રાષ્ટ્રધ્વજ સાથે તેના જોડાણને વધુ ગાઢ બનાવશે.