ભક્તિભાવ પૂર્વક પુજા-અર્ચના સાથે દરેક ફળિયામાંથી એક વ્યક્તિએ એક પગે તંબૂરો અને બીજા હાથે તુલસી માળા ફેરવતા ભક્તિનો માહોલ છવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.29: ઉમરસાડી માછીવાડ ગામે શ્રાવણ માસમાં ધર્મ ભક્તિથી ઓતપ્રોત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી અખંડ ભજન-કીર્તન અને પૂજા-અર્ચના કરાતા સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું.
ઉમરસાડી માછીવાડ ગામે વર્ષોથી શ્રાવણ માસના પ્રથમ સપ્તાહમાં સાત દિવસ અખંડ રાત-દિવસ ભજન-કીર્તન પૂજાના કાર્યક્રમની પરંપરા છે. આ વર્ષે પણ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર કમિટી દ્વારા સપ્તાહનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહના પ્રારંભે પૂજામાં અગિયાર જોડા બેઠા હતા અને બ્રાહ્મણના શાષાોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજાનો આરંભ થયા બાદ 13 ફળિયાના ભક્તોએ સાત દિવસમાં વારા બાંધી રાત-દિવસ અખંડ ભજનકીર્તનની રમઝટ જમાવી હતી. દરેક ફળિયામાંથી એક વ્યક્તિએ નારદ મુનિનો વેશ ધારણ કરી એક હાથે તંબૂરો બીજા હાથે તુલસી માળા ફેરવાતા એક કલાક એક પગે ઊભા રહી પ્રભુ સ્મરણ કરી અનોખું તપ કર્યું હતું.
છેલ્લા દિવસે ઠાકોરજીની પાલખીયાત્રા નાચગાન સાથે ગામમાં ફરી હતી. સમુદ્ર કિનારે સુધી પહોંચવા દરમિયાન ઠેરઠેર બાંધવામાં આવેલી મટકી ફોડવામાં આવી હતી. સમુદ્ર તટે ઠાકોરજીને જળાભિષેક કરી આરતી કરી ગ્રામજનોએ પણ સમુદ્રમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર ઉજવણીને સફળ બનાવવા શ્રી માછી મહાજન પંચના પ્રમુખ સુરેશભાઈ ટંડેલ, મંદિર કમિટીનાપ્રમુખ અરવિંદભાઈ ટંડેલ તથા તમામ સભ્યો યુવાન ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.