10 દિવસથી સારવાર હેઠળ રહેલા વલસાડ જિલ્લા કર્ણી સેના અધ્યક્ષ આલોકસિંહએ દમ તોડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27
ડુંગરી વલસાડથી ભિલાડ સુધીનો નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈ લગાતાર વાહન પલટી જવા, ટાયર પંચરો, અથડાવા જેવી ઘટનાઓ સતત 10 દિવસ સુધી ઘટતી રહેલી હતી. જેમાં વાપી હાઈવે ઉપર દમણ કર્ણી સેનાના અધ્યક્ષ કનકસિંહ જાડેની કાર ખાડામાં પલટાતા સર્જાયેલ અકસ્માતમાં તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. તેમની સાથે કારમાં બેઠેલાવલસાડ જિલ્લા રાષ્ટ્રિય કર્ણી સેના અધ્યક્ષ આલોકસિંહ ગંભીર રીતે ઘવાયા હતા. કોમામાં સારવાર ચાલતી હતી. જ્યાં 10 દિવસ બાદ દમ તોડતા કર્ણીસેનાના કાર્યકરોમાં વધુ એકવાર ગમગીની છવાઈ જવા પામી હતી.
વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિના કારસા કહેરમાં અનેક પ્રકારની ત્રાસદી અને ખાના ખરાબી સર્જી હતી. જેમાં સૌથી ખરાબ હાલત ને.હા.48ની થઈ હતી. ઠેર ઠેર અસંખ્ય ખાડાઓ પડી જતા હાઈવે યમરાજનો માર્ગ બની ચૂક્યો હતો. જેમાં લગાતાર રોજીંદા અકસ્માત-વાહન ભટકાવા પલટી મારી જવાના બનાવોમાં અત્યાર સુધી સાત નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે તે પૈકી આજરોજ વલસાડ જિલ્લા કર્ણી સેનાના જિલ્લા અધ્યક્ષ આલોકસિંહ જેઓ 10 દિવસથી સારવાર હેઠળ હતા તેમને અંતિમશ્વાસ લેતા સેનામાં શોકની લાગણી પ્રસરી હતી.