હર ઘર તિરંગા યોજનાને સફળ બનાવવા નગરપાલિકાના કાઉન્સિલરો સાથે ચીફ ઓફિસરે કરેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: આઝાદીની નવી ઊર્જાના સંચારના પ્રયાસો અગામી તા.13 થી 15 ઓગસ્ટ, 2022 દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઘર ઘર રાષ્ટ્રધ્વજ’ લહેરાવવા કરેલી હાકલ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આજે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કાઉન્સિલરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દમણ નગરપાલિકાના દરેક ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે ઘર ઘર જઈ જાગૃતિ ફેલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. દમણ નગરપાલિકા દ્વારા રૂા.25માં સારી ક્વોલીટીના રાષ્ટ્રધ્વજનું વેચાણ પણ કરાનારૂં હોવાની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં દમણ નગરપાલિકાના કાઉન્સિલરોએ આમજનતાને અપીલ કરી છે કે, દરેક ઘર, ફલેટ અને બિલ્ડીંગ તથા દુકાનો ઉપર દરેક જગ્યાએ તિરંગો ફરકાવવામાં આવે જેથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવી શકાશે. આ બેઠકમાં દમણ ન.પા.ના ચીફ ઓફિસર, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, કાઉન્સિલર શ્રી અસ્પી દમણિયા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, શ્રીમતી અનિતા પટેલ, શ્રીમતી સોહિના પટેલ, શ્રી પ્રમોદરાણા, શ્રીમતી ફિરદોશ બાનુ ઉપસ્થિત રહ્યા હતા.