(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના વાસોણા વન્યજીવ અભ્યારણમાં ગેરકાયદેસર અતિક્રમણ કરી વસવાટ કરવા બાબત ગુનેગાર ધાકલ રૂપજી તુમણા વિરુદ્ધ વન અધિકારી કિરણસિંહ પરમારે વન્યજીવ કાયદા 1972 કલમ અંતર્ગત ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, જે સંદર્ભે સેલવાસ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારી વકીલ શ્રી પ્રવીણ પટેલની ધારદાર દલીલ બાદ સિવિલ જજ શ્રી બી.એસ.પરમારે ચુકાદો આપતા ગુનેગાર ધાકલ તુમણાને બે હજાર અથવા બે મહિના સખ્ત કેદની સજા અને તાત્કાલિક અતિક્રમણ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર વાસોણા લાયન સફારી સામે આવેલ વન્યજીવ અભ્યારણમાં કેટલાક ઈસમોએ અતિક્રમણ કરી ખેતી કરી રહ્યા છે તેનો પણ ટુંકા દિવસોમાં ચુકાદો આવી શકેએમ છે, તે સિવાય 15 જેટલા વ્યક્તિઓ સામે હાલમાં હાઈકોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા છે.