-
જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા કેટલાક જિલ્લા પંચાયત સભ્યોને દર મહિને ઉદ્યોગોમાંથી મળતા સલિયાણા બંધ થઈ જવાનો ડર હોવાથી તેઓ શિવસેનાને પણ નારાજ કરવા માનતા નથી બીજી બાજુ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે પોતાના વિસ્તારના કામો યેન કેન રીતે કરાવવા ભાજપ અને પ્રશાસન સાથે પણ ઘરોબો રાખવાની નીતિ અપનાવી રહ્યા છે
-
દાનહમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ દ્વારા ઉદ્યોગો પાસે ખંડણી, હપ્તા, ભંગારનો કારોબાર, લેબર કોન્ટ્રાક્ટ જેવા માધ્યમથી દર મહિને કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાની ઉચ્ચ સ્તરે મળેલી વ્યાપક ફરિયાદોઃ ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારા હેઠળ ચૂંટાયેલા તમામ લોક પ્રતિનિધિઓનો સમાવેશ થતો હોવાથી પોતાની જ્ઞાત આવક કરતા વધુ આવકનોસ્ત્રોત ધરાવનારા કેટલાક સામે વિજીલન્સની તોળાતી તલવાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 05: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા કેટલાક સભ્યોની નીતિ અને નિયત સ્પષ્ટ નહીં હોવાથી આવતા દિવસોમાં તેમને રાજકીય નુકસાન વેઠવા પડવાની શક્યતા નકારાતી નથી.પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા કેટલાક સભ્યો શિવસેના, ભાજપ અને જનતા દળ (યુ) સાથે સંતાકૂકડીની રમત રમી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દાદરા નગર હવેલીમાં સાંસદનું પદ શિવસેના હસ્તક છે. દાદરા નગર હવેલીના મોટાભાગના ઉદ્યોગો ઉપર શિવસેનાનું પ્રભુત્વ છે. જેના કારણે જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના જિલ્લા પંચાયત સભ્યોને દર મહિને ઉદ્યોગોમાંથી મળતા સલિયાણા બંધ થઈ જવાનો ડર હોવાથી તેઓ શિવસેનાને પણ નારાજ કરવા માનતા નથી. બીજી બાજુ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે પોતાના વિસ્તારના કામો યેન કેન રીતે કરાવવા ભાજપ અને પ્રશાસન સાથે પણ ઘરોબો રાખવાની નીતિ અપનાવી રહ્યા છે. જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા હોવાથી પક્ષાંતર ધારો લાગવાની સંભાવના હોવાથી પોતાનું સભ્યપદ અકબંધ રહે તે માટે જનતા દળ (યુ) સાથે પણ બગાડતા નથી.
અત્રે નોંધનીય છે કે, ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો પણ સમાવેશ કરાયેલો છે. તેથી તેમની જ્ઞાત આવકના સાધનો કરતા વધુ આવક ધરાવતા સભ્યો ઉપર સીબીઆઈ સહિત દેશની એજન્સીઓની સીધી નજર રહેવી સંભવ છે. કારણ કે, દાદરા નગર હવેલીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા ઉદ્યોગો પાસે ખંડણી, હપ્તા, ભંગારનો કારોબાર, લેબર કોન્ટ્રાક્ટ જેવા માધ્યમથી દર મહિને કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉચ્ચ સ્તરે થયેલ છે. જેની અસર આવતા દિવસોમાં થવાની સંભાવના પણ નકારાતી નથી.
બીજી બાજુ જનતા દળ (યુ) હવે એનડીએનો હિસ્સો નહીં રહેતાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા સભ્યોની દશા અને દિશા ઉપર પણ હાલના તબક્કે બ્રેક લાગી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. છતાં જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ પોતાની રીતે મેનેજ કરી સભ્યોના વિકાસ ઉપર કોઈ અસર નહીં પડે તેની તકેદારી લઈ રહ્યા છે. પરંતુ મોટાભાગના જિલ્લા પંચાયતના સભ્યો પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સાથે પણ પોતાની આગવી રમત રમી રહ્યા હોવાનું સમજાય છે.