મહારાષ્ટ્રના પૂણે ખાતે આવેલ ‘ભીડેવાડા’નો સાચો ઈતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધાનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 – મહારાષ્ટ્રના પૂણે સ્થિત ‘ભીડેવાડા’નો સાચો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જનજન સુધી પહોંચાડવાનું ભગિરથ કાર્ય કરી રહેલા ‘ભીડેવાડા બોલલા’ ગીતના રચનાકાર અને સક્રિય સામાજિક કાર્યકર્તા ઇતિહાસ સંશોધક કવિ ગઝલકાર શ્રી વિજય વડવેરાવ દ્વારા ‘ભીડેવાડા બોલલા’-ભારતની પ્રથમ મહિલા સ્કૂલના વિષય ઉપર આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ-દીવ, કેરલ, સ્વીડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્ટોકહોમ, અબુધાબી, લંડનના લગભગ 600થી વધુ કવિ અને કવયત્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ‘ભીડેવાડા બોલલા’ કાવ્યલેખન સ્પર્ધાના વિજેતાઓનો પારિતોષિક વિતરણ સમારંભ તાજેતરમાં પૂણેના મરાઠી સાહિત્ય પરિષદના વાતાનુラકૂલિત સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.
અત્રે યાદ રહે કે, મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે દ્વારા પૂણેના દગડુશેઠ ગણપતિની સામે ભીડેવાડામાં કન્યાઓ માટે દેશની પહેલી સ્કૂલ શરૂ કરી હતી. આ ભારતમાં છોકરીઓ માટે પહેલી સ્કૂલ હતી. તેથી ભીડેવાડાનું ઇતિહાસમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે.
વિજેતા કવિ-કવયત્રીઓને સન્માનચિહ્ન, સન્માનપત્ર, પુરસ્કાર રાશિ, ભીડેવાડા શાલ, ગઝલ સંગ્રહ પ્રદાન કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પૂણેની સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાપીઠના મરાઠી વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રદીપસાંગલે, પ્રસિદ્ધ ગઝલકાર શ્રી મ.ભા.ચૌહાણ, શિક્ષણ ભારતી વિદ્યાપીઠના સંચાલક શ્રી એમ.ડી.કદમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને સ્પર્ધાના આયોજક શ્રી વિજય વડવેરાવની અધ્યક્ષતામાં આ પુરસ્કાર સમારંભ યોજાયો હતો.
આ આંતરરાષ્ટ્રીય કાવ્યલેખન સ્પર્ધામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના કવિ શ્રી આનંદ ઢાલેને ઉત્સાહવર્ધક પુરસ્કારથી પુરસ્કૃત કરાતા તેમના સેલવાસના ચાહકોમાં આનંદની લાગણી પ્રગટવા પામી છે અને ઠેર ઠેરથી અભિનંદન આપી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પટલ ઉપર સેલવાસનું નામ રોશન કરનારા કવિ શ્રી આનંદ ઢાલે સેલવાસ સ્થિત એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મેઈન્ટેનન્સ મેનેજરના પદ ઉપર કાર્યરત છે, તેમણે આ પુરસ્કાર સેલવાસની જનતા તથા કવિ વિચારમંચ શેગાવને સમર્પિત કર્યો છે.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધાના આયોજક શ્રી વિજય વડવેરાવજીએ જણાવ્યું હતું કે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે, રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે અને મહિલા શિક્ષણ અભિયાન સાથે જોડાયેલા દરેક સહકર્મીઓના સામાજિક યોગદાન લડાયક સંઘર્ષમય ગાથાના કેન્દ્રબિંદુ ભીડેવાડાના મૂળ ઇતિહાસની સાચી અને વાસ્તવિક જાણકારી લોકો સુધી પહોંચાડવાનો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.