(વર્તણાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
આજરોજ ઉમરગામ ટાઉન સ્થિત બારીયા સમાજ હોલ ખાતે ઉમરગામ અને નારગોલ મરીન પોલીસ મથક દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલું નવું પોર્ટલના માધ્યમથી મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઈ-એફઆઈઆર રજીસ્ટર કરવા માટેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. ઉમરગામ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર.બી. વનાર અને નારગોલ મરીન પોલીસ મથકના પી.આઈ શ્રી બી.ડી. જીત્યાએ ઉપસ્થિતો સમક્ષ ઓનલાઈન એફઆઈઆરની પદ્ધતિ વિશે સમજણ આપ્યા બાદ ટાઉન વિસ્તાર અને મુખ્ય પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકાના ઉપપ્રમુખશ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
—-