(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
સરીગામ અને આજુબાજુના વિસ્તારમાં જનહિત કાર્યોને કેન્દ્રસ્થાને રાખી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનારી યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્વ. રાયની 19 મી પુણ્યતિથિને યાદગાર બનાવવા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ઉમદા કામગીરીનુ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. સ્વ. કમલાશંકર રાય ભૂતકાળમાં એમના સમયગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રેતેમજ સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓના માધ્યમથી ખૂબ જ આગળ રહ્યા હતા. આર્થિક રીતે અને સામાજિક રીતે પાછળ રહેલા વ્યક્તિઓને મદદ કરવામાં એમણે આપેલું યોગદાનના કારણે સમાજસેવક તરીકે નામના ઉભી કરવામાં સફળતા હાંસલ કરી હતી. આજરોજ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 366 બોટલ રક્ત એકત્રિત કરી સ્વ. કમલાશંકર રાયની 19 મી પુણ્યતિથિને યાદગાર બનાવી દીધી હતી.
આજનો બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકારે સ્વ. કમલાશંકર રાયે દરેક ક્ષેત્રે સમાજ સેવાને લગતી કરેલી કામગીરીને યાદ કરી હતી અને હાલમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે ટ્રસ્ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાયની સમય સમયે જનહિતને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલી કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને રક્તદાનનું મહત્વ વિશે સમજણ આપી હતી.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, પુનાટ અખંડાનંદ આશ્રમના પૂજ્ય સંત જયાનંદસરસ્વતી બાપુ, કળષ્ણનંદ સરસ્વતી બાપુ, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, એસ.આઈ.એના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ તેમજ સરીગામના રાજકીય આગેવાનો અને વિશાળ સંખ્યામાં રક્તદાન કરવા માટે યુવાનોની હાજરી જોવા મળી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/07/WhatsApp-Image-2022-07-31-at-8.20.31-PM.jpeg)