-
ઓગસ્ટ, 1961માં દાનહને સંઘરાજ્ય ભારતમાં સામેલ કરવા દિલ્હી ગયેલા વરિષ્ઠ પંચાયતના સભ્યો પૈકીના એક માત્ર હયાત સભ્યજમુનીબેન વરઠાના નિવાસ સ્થાન સીલી હરદુનપાડા ખાતે જઈ જિલ્લા પ્રશાસને પોતાના માનવીય અને સંવેદનશીલતાનો આપેલો પરિચય
-
અત્યાર સુધી પ્રદેશના કોઈપણ રાજકારણી કે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પ્રદેશના ગુમનામ રતન એવા જમુનીબેન વરઠાની ભાળ લેવા નિષ્ફળ, પરંતુ પ્રશાસને બજાવેલી ફરજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02: ઓગસ્ટ, 1961માં દાદરા નગર હવેલીને સંઘરાજ્ય ભારતમાં સામેલ કરવા માટે તે સમયના વરિષ્ઠ પંચાયતના પ્રમુખ શ્રી સ્વ. જયંતભાઈ દેસાઈના નેતૃત્વમાં દિલ્હી ખાતે ગયેલા 21 સભ્યો પૈકીના એક માત્ર હયાત સભ્ય એવા શ્રીમતી જમુનીબેન રામજીભાઈ વરઠાના ઘરે આજે દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ સહિત જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ પહોંચી અભિવાદન કર્યું હતું અને રાષ્ટ્રધ્વજ પણ ભેટ આપ્યો હતો. જેને લહેરાવવામાં પણ આવ્યો હતો.
દાદરા નગર હવેલીના સીલી ખાતે હરદુન પાડામાં રહેતા વયોવૃદ્ધ એવા શ્રીમતી જમુનીબેન રામજીભાઈ વરઠાના ઘરે જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ, એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.પી.(હેડ ક્વાર્ટર)શ્રી પિયુષ એન. ફુલઝેલે સહિત જિલ્લા પ્રશાસનની ટીમ પહોંચી હતી.
સ્વતંત્ર સેનાની તથા ભારતનાગણરાજ્યમાં દાદરા નગર હવેલીનો સમાવેશ કરાવનારા 21 પ્રતિનિધિઓ પૈકીના એક માત્ર હયાત એવા વયોવૃદ્ધ જમુનીબેન રામજીભાઈ વરઠાની લગોલગ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ બેસી તેમનો હાથ પંપાળી ખબર-અંતર પૂછી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો સંવેદનશીલ ચહેરો ફરી એકવાર ખિલી ઉઠયો હતો. કારણ કે, દાદરા નગર હવેલીના કોઈ રાજકારણી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ પ્રદેશના ગુમનામ રતન એવા જમુનીબેન વરઠાની ભાળ અત્યાર સુધી લીધી નહીં હતી. પરંતુ જિલ્લા પ્રશાસને ગુમનામ રતનને ફરી એકવાર પ્રકાશિત કરી જમુનીબેન વરઠાના વૃદ્ધત્વને શોભાયમાન થવાનો અવસર પ્રાપ્ત થયો છે.