દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્થાપવા તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04
અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગાનું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેને તમામ સ્તરે સફળ બનાવવા માટે ઠેર ઠેર ભગીરથ પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે ગુરૂવારે વાપી નગરપાલિકા હોલમાં હર ઘર તિરંગાની સભા યોજાઈ હતી. વાપીની સામાજીક સંસ્થાઓ, વેપારીએસોસિએશન અને અગ્રણી નાગરિકોએ બેઠકમાં ભાગ લીધો હતો.
વાપી નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ કાશ્મિરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન શિલ્પેનભાઈ દેસાઈ અને નગર સેવકોની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા બેઠક યોજાઈ હતી. આગામી તા.13 થી 15 ઓગસ્ટ ત્રણ દિવસ વાપીના દરેક ઘરે, દુકાને, ઓફીસ, કંપની-ફેક્ટરીઓમાં તિરંગો લહેરાય તેવી ચર્ચા હાથ ધરાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં દેશ પ્રવેશી રહ્યો છે ત્યારે દેશપ્રેમ અને વર્લ્ડ રેકર્ડ સ્થાપવાના સર્વોચ્ચ હેતુ સાથે હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવાની જાહેર અપીલ સભામાં કરવામાં આવી હતી.
—–