દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત દેશના લોકોને રાષ્ટ્રધ્વજ સાથે જોડવાનું કામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: આજે કલા કેન્દ્ર સેલવાસ ખાતે ભારતની આઝાદીના 75મા વર્ષની શાનદાર ઉજવણીના ઉપલક્ષમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતા. જેમાં દાદરા નગર હવેલી અનેદમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણના જન પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદો, સંઘપ્રદેશ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ, મીડિયાના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અને હોટલ જગતના પ્રતિનિધિઓ તથા ધારાશાષાીઓ સહિત આમંત્રિત વરિષ્ઠ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત આગેવાનોના મંતવ્યોની જાણકારી મેળવી હતી અને તેમના દ્વારા સૂચિત આયોજનને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડવા સંબંધિત અધિકારીઓને દિશા-નિર્દેશ પણ આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના સ્વાભિમાનના સંદર્ભમાં તિરંગાને જોડવાનું દેશના 75 વર્ષના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે. દેશના લોકોને તિરંગા સાથે જોડવાનું કામ પહેલી વખત કરાયું છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી માત્ર ઔપચારિક બનીને રહી ગઈ છે. આ સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિનની ઉજવણીની જવાબદારી ફક્ત સરકારની હોય એ રીતનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકોની હાજરી પણ ઓછી થતી જઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએરાષ્ટ્રભક્તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામ કર્યું છે. જેના કારણે રાષ્ટ્રભક્તિ વધુ પ્રજ્વલિત બનશે એવો વિશ્વાસ પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના 130 કરોડ નાગરિકો અને 20 કરોડ કરતા વધુ ઘરોને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી આપસમાં એક તાંતણે જોડવાનો અવસર આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના પણ જાગૃત થશે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણને આઝાદીની લડતમાં શહિદ થવાનો અવસર પ્રાપ્ત નથી થયો, પરંતુ આપણને દેશ માટે જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આપણી દેશ પ્રત્યેની જવાબદારી નિભાવી કર્તવ્યભાવના સાથે આગળ વધીશું તો આપણા દેશને વિશ્વ ગુરૂ બનતાં કોઈ રોકી નહીં શકશે.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સ્વાગત વક્તવ્ય આપ્યું હતું અને સેલવાસના રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની પ્રાથમિક જાણકારી અને સંઘપ્રદેશ પ્રશાસનના અભિયાનના ઉપલક્ષમાં કરવામાં આવી રહેલી તૈયારીઓની એક ઝલક પીપીટીના માધ્યમથી રજૂકરી હતી. જેમાં તેમણે રાષ્ટ્રધ્વજના પ્રોટોકોલના બાબતમાં અને આ અભિયાનને સફળ બનાવવામાં પ્રશાસનના વિવિધ વિભાગોના પ્રયાસોની બાબતમાં વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, પૂર્વ સાંસદો શ્રી સીતારામભાઈ ગવળી અને શ્રી નટુભાઈ પટેલ, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, દમણ હોટલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર, દાનહ અને દમણના જિલ્લા પંચાયતના સભ્યો, કાઉન્સિલરો અને સરપંચો સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ સહિત શિક્ષણ આલમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાએ કર્યું હતું.