-
સરકારે આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે: શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તિસિંહ વાઘેલા
-
સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી,તા.09: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તિસીંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી બાંધવોને શુભકામનાઓ પાઠવતા રાજયમંત્રીશ્રી કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વન અને ગિરિકંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે.
આ અવસરે મંત્રીશ્રી વાઘેલાએ કહ્યું હતું કે, સરકારે સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. અમારી સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષશ્રી મહેશભાઇ ગામીતે કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિજાતિ સમાજ અન્ય સમાજની હરોળમાં ઊભો રહી શકે તે માટે વનબંધુ યોજના હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યાં છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ આ સરકારે વિકસાવી છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ સ્ટેજ પરથી લાભાર્થીઓને મંજુરી હુકમો, ચેક, કીટ અને સન્માનપત્રો એનાયત કર્યા હતા.
રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે આયોજીત રાજયકક્ષાના વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા પ્રાયોજના વહીવટદારશ્રી એમ. એલ. નલવાયાએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભારવિધિ પ્રાંત અધિકારીશ્રી વાંસદાએ આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઇ ગાંવિત, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, શાસક પક્ષના નેતા શ્રી શિવેન્દ્રસિંહ સોલંકી, અગ્રણીઓ શ્રી ગમનભાઇ પટેલ, શ્રી ગણપતભાઇ માહલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦