દમણ, દાનહ અને વલસાડ જિલ્લામાંથી આશરે 6000, નવસારી જિલ્લામાંથી 4000 તથા આહવા-ડાંગમાંથી 2000 ભાઈઓ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી વલસાડ જિલ્લાના ભગોદ ગામે અગસ્ત વૃક્ષમંદિર અને પાનસ ગામે ધૈમ્ય વૃક્ષમંદિરે તીર્થયાત્રાની પૂર્ણાહુતિ રૂપે મળી ‘મનુષ્ય ગૌરવ દિન’ની ઉજવણી કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: પરમ પૂજનીય પાંડુરંગ શાષાી આઠવલેનું 100મું વર્ષ પૂજનીય દીદીના માર્ગદર્શન હેઠળ તેમનો સ્વાધ્યાય પરિવાર વિશિષ્ટ રીતે મનાવી રહ્યો છે.
આ વર્ષે પરમ પૂજનીય દાદાજીના જન્મદિવસ 19મી ઓક્ટોબર-મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો તા.13/10/2022 થી છ દિવસ માટે તીર્થયાત્રા કરીને દરેક જિલ્લાના કોઈ પવિત્ર ધાર્મિક સ્થળે 19/10/2022ના રોજ તીર્થયાત્રાની પૂર્ણાહુતિ રૂપે મળશે અને ‘‘મનુષ્ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે.
સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી તથા વલસાડ જિલ્લામાંથી આશરે 6000, નવસારી જિલ્લામાંથી આશરે 4000 તથા આદિવાસી આહવા-ડાંગ જિલ્લામાંથી આશરે 2000 ભાઈઓ-બહેનો, તા.13/10/2022 થી છ દિવસ માટે તીર્થયાત્રા કરીનેજિલ્લાના ભગોદ ગામે અગસ્ત વૃક્ષમંદિર અને પાનસ ગામે ધૈમ્ય વૃક્ષમંદિર ઉપર તા.19/10/2022ના રોજ તીર્થયાત્રાની પૂર્ણાહુતિ રૂપે મળી ‘‘મનુષ્ય ગૌરવ દિન”ની ઉજવણી કરશે.
ભારતીય સંસ્કૃતિની ઋષિ પ્રણિત તીર્થયાત્રા સંસ્કૃતિ પ્રસારનું, માનવ-માનવ વચ્ચેની ભેદની દિવાલો તોડીને નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ દૈવી ભાતૃભાવનો સેતુ બાંધવાનું તથા એક આચાર, એક વિચાર, એક ઉચ્ચાર અને એક ધ્યેયવાળા સમૂહની રચનાત્મક શક્તિના દર્શનનું અમોઘ માધ્યમ હતું. પરંતુ વચ્ચેના કાળમાં તીર્થયાત્રા ફક્ત ધાર્મિક પ્રવાસ અને પગપાળા સંઘ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી. ત્યારે પરમ પૂજનીય દાદાજીએ તેનો આજના કાળના સંદર્ભમાં જિર્ણોદ્ધાર કર્યો છે.
પરમ પૂજનીય દાદાજીએ તર્કબધ્ધ રીતે સમજાવ્યું કે, તીર્થયાત્રા એટલે તીર્થધામમાં રહેલા ભગવાનને મળવા જતાં વચ્ચે તેમના સંતાનોને એટલે કે સર્વ માનવોને નાતજાત કે ધર્મ સંપ્રદાય વિગેરેનો ભેદ કર્યા વગર નિસ્વાર્થ ભાવે મળતા – મળતા જવું અને ભગવાનનો માનવ ઉપરનો પ્રેમ, ભગવાને કરેલા માનવ જીવન પરના ઉપકારને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા માટે ત્રિકાળ સંધ્યાનો સંદેશ આપતા- આપતા તીર્થસ્થાનમાં ભેગા થવું. આવી સાચી તીર્થયાત્રાઓથી જ વ્યક્તિ વિકાસ અને સમાજસ્થૈર્ય નિર્માણ થાય અને વૈદિક સંસ્કૃતિ પ્રસ્થાપિત થાય. સ્વાધ્યાયપરિવાર આવી તીર્થયાત્રાઓ સન 1984 થી કરતો રહેલો છે.
સ્વાધ્યાયી તીર્થયાત્રીઓ પોતાની વ્યવસ્થા જેવી કે, ટાઈમ, ટિકિટ અને ટિફીન પોતાની રીતે જ કરતા રહેલા છે. પોતાનું કામ પોતાની જાતે જ કરશે. મળ્યું તે ગામ કે વિસ્તાર અને મળ્યું તે ઘર તે ભગવાને જ આપ્યું છે તેમ સમજી ત્યાં રહેશે અને આજુબાજુના ઘરો અને વિસ્તારમાં દરેક ઘરે વ્યક્તિગતરૂપે જઈને મળશે અને ભગવાનના વિચારોની આપ લે કરશે. સ્વાધ્યાયની પદ્ધતિ પ્રમાણે જે ઘરે મળવા જશે ત્યાં પ્રકાશ, પાણી અને પાથરણાનો જ ઉપયોગ કરશે.