(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી,તા.09: સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની મુખ્ય હરોળમાં આવી શકે તે હેતુથી યુનો (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજતા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નીરાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ સમસ્ત આદિવાસી સમાજને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજએ પ્રકૃતિપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી સમાજ છે. આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. આ વેળાએ મંત્રીશ્રીએ આઝાદીની જંગમાં બલિદાન આપનારા બિરસા મુડા અને શહીદવીરોને યાદ કરીને આદિવાસી સમાજનાં અનેરા યોગદાનને યાદ કર્યું હતા. સાથે આદિવાસી સમાજનાં શ્રીમતી દ્રોપદી મુર્મુજીની ભારતવર્ષના રાષ્ટ્રપતિ તરીકે વરણી થઈએ સમગ્ર આદિવાસી સમાજ માટે ઐતિહાસીક અને ગૌરવપૂર્ણ બાબત છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આદિવાસી સમાજ પ્રાકૃતિક ખેતી તરફવળી સમગ્ર વિશ્વને અને ભારતને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એની પ્રેરણા લેવાનો હાજર સૌ કોઈને ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરેકહ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી જેથી રાજ્યના અંબાજી થી લઈને ઉમરગામસુધીનાં આદિવાસી બાંધવોનો વિકાસ થયો છે. જે અંતર્ગત આદિજાતિ સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી પીયૂષભાઈ દેસાઈએ હાજર સૌ આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ અને સંવિધાનિક એવા રાષ્ટ્રપતિપદ પર આદિવાસી દીકરી શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની વરણી થઈ એ દેશમાં વસતા દરેક આદિવાસી નાગરિક માટે ગૌરવની ક્ષણ છે. સૌને સમાન તકો અને સૌને સમાન દરજ્જો એ સરકારનું મુખ્ય ધ્યેય છે એ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીની સિદ્ધિ પરથી પ્રમાણિત થાય છે. નવસારી શહેરમાં આજે આદિવાસી સમાજના ભગવાન સમા બિરસા મુંડાજીની પ્રતિમાનું ખાતમહુર્ત કરવામાં આવ્યું જે આપણા સૌ માટે ગર્વની બાબત છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો,પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
આજના દિવસે રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત, ઝાલોદથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કરોડોના વિકાસકામોનુ ઈ-માધ્યમથી લોકાર્પણ કરીને આદિવાસી સમાજને આદિવાસી દિવસની શુભકામનાઓ આપી હતી. જેનું સ્થાનિક કાર્યક્રમોની જગ્યાઓએ જીવંત પ્રસારણ કરાયું હતું.
આજના કાર્યક્રમની શરૂઆતમાં ઘેરૈયાનૃત્ય, તુર નૃત્ય દ્વારા આદિવાસીની સાંકૃતિક ઝલક રજૂ થઈ હતી સાથે વનબંધુ કલ્યાણ યોજના ભાગ એક અને બેની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી વિકાસના કામોથી લોકોને માહિતગાર કરાયા હતા. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,નવસારીના કલેકટરશ્રી શ્રી અમિત પ્રકાશ યાદવ, નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ, ચિખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી કલ્પનાબહેન ગાવિત,ખેરગામ તાલુકા પંચયાત પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબહેન પી.પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ,પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.