તલાટી શમશુદ્દીન ખલીફાએ એપાર્ટમેન્ટના ફલેટની નોંધ માટે પ્રત્યેક ફલેટ દીઠ રૂા.500ની માંગ કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વાપી સેસન્સ કોર્ટમાં ઉદવાડાના લાંચીયા તલાટી કેસની આખરી સુનાવણી ચાલી હતી. જેમાં સરકારી વકીલની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને તલાટીને ત્રણ વર્ષની કેદ અને 20 હજારના દંડનો હૂકમ કરતો ચુકાદો આપ્યો હતો.
ચુકાદાની પ્રાપ્ત વિગતો મુજબ ગત 2011ની સાલમાં ઉદવાડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે શમશુદ્દીન ખલીફા ફરજ બજાવતો હતો તે સમય દરમિયાન તા.14-02-2011ના રોજ ઉદવાડાના મિરાશા એપાર્ટમેન્ટના સંચાલકે ફલેટોની નોંધણી કરાવવા પંચાયતમાં અરજી કરી હતી. નોંધણી કરાવવા પેટે તલાટી શમશુદ્દીન ખલીફાએ ફલેટ દીઠ રૂા.500ની લાંચ માગી હતી. જે ફલેટ સંચાલક આપવા ઈચ્છતા નહોતા તેથી વલસાડ-ડાંગ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.એ.સી.બી.એ ઉદવાડામાં છટકુ ગોઠવીને લાંચીયા તલાટી શમશુદ્દીન ખલીફાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. આ કેસની આખરી સુનાવણી વાપી એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી હતી. તેમાં નામદાર જજશ્રી ધર્મેન્દ્રસિંહએ આરોપી શમશુદ્દીન ખલીફાને ત્રણ વર્ષની કેદ અને 20 હજાર દંડનો ચુકાદો આપતો હૂકમ કર્યો હતો.