ડુંગરી પોલીસ, ગૌરક્ષકોએ જીવીત 8 ગાયોને નવસારી પાંજરાપોળમાં સારવારમાં મોકલી, 11 ગાયોની દફનવિધી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડ માલવણ કોસ્ટલ હાઈવે ઉપર ગતરોજ મધરાતે બુટલેગર બેફામ કાર હંકારી દઈને રોડ ઉપર બેઠેલી 19 ગાયોને કચડી મારી હતી. ઘૃણાસ્પદ આ અકસ્માતમાં 11 ગાયોએ દમ તોડી દીધો હતો જ્યારે ઘાયલ થયેલ 8 ગૌવંશને પોલીસે અને ઘટના સ્થળે દોડી આવેલ ગૌરક્ષકોએ નવસારી ખડછીયા પાંજરાપોળમાં સારવાર માટે મોકલી આપી હતી. મૃત ગાયોની માલવણમાં દફનવિધી કરાઈ હતી. ગૌવંશો સાથે થયેલી ક્રુર ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વલસાડ માલવણ કોસ્ટલ હાઈવે ઉપર બુટલેગર કાર નં.જીજે 16 બીએન 7334 નશાની ચકચૂર હાલતમાં મધરાતે હંકારી રહ્યો હતો તે દરમિયાન રસ્તા ઉપર બેઠેલ ગૌવંશો ઉપર ક્રુરતાપૂર્વક કાર હંકારી દીધી હતી. જેમાં 19 ગાયો પૈકી 11 ગૌવંશના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તેમજ 8 ગૌવંશ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ ડુંગરી પી.એસ.આઈ. ઝાલાને થતા જ ટીમ સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. અકસ્માત સર્જી બુટલેગર ગાડી છોડી ગયેલાનુંજણાયું હતું. પોલીસે વલસાડ અગ્નીવિર ગૌસેનાને જાણ કરતા ગૌસેવકો દોડી આવ્યા હતા. પોલીસે અને ગૌસેવકોએ બુટલેગરની શોધ હાથ ધરી હતી. જેમાં નજીકમાં જ પાણી ભરેલ ખાડામાં છુપાયેલો મળી આવ્યો હતો. બીજી તરફ બિલીમોરાના ગૌસેવકો પણ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. તમામ ગૌસેવકોએ માલવણના સરપંચ અને ગ્રામજનોની મદદથી 11 ગાયોની દફનક્રિયા કરી હતી. જ્યારે ઘાયલ 8 ગાયોને ખડછીપા પાંજરાપોળમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ગૌવંશ સારવાર હેઠળ છે. સ્થાનિક લોકો અને ગૌરક્ષકોએ પોલીસને ભારપૂર્વક રજૂઆત કરી હતી કે પકડાયેલ બુટલેગરને સખ્ત સજા થવી જોઈએ. કારણ કે બુટલેગરો ગૌવંશોની ક્રુર હત્યા કરી છે. મધરાતે ઘટેલી ઘટનાની જાણ આજુબાજુમાં પ્રસરી જતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.