(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડના અત્યંત દુઃખદ બનાવ બાદ માત્ર ગેમઝોનને બંધ કરાવીને સંતોષ માનવાના સ્થાને ચીખલીમાં સ્થાનિક તંત્ર દ્વારા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગોમાં ફાયર-સેફટીની ચકાસણી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીખલી ઉપરાંત આસપાસના સમરોલી, મજીગામ, થાલા, ખૂંધ, આલીપોર સહિતના ગામોમાં અનેક જાહેર કોમ્પ્લેક્ષ, હોટલો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મોલ, સરકારી કચેરીઓના એક માળથી વધુના મકાનો છે. અને તે પૈકી ઘણા કોમ્પ્લેક્ષ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓમાં લોકોની વ્યાપક અવર જવર રહેતી હોય છે.
તેવામાં લોકોની સલામતી માટે સ્થાનિક તંત્ર દ્વારા આવા સ્થળોએ મકાનોમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. જોકે સરકારી કચેરી હોય કે ખાનગી બિલ્ડીંગો હોય મોટેભાગે ફાયર સેફટીની વ્યવસ્થા તો જોવા મળી રહી છે. પરંતુ એ વ્યવસ્થા ચાલુ હાલતમાં છે કે કેમ તે ચકાસવું જરૂરી છે. બાકી તો ભૂતકાળમાં ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીનું મોકડ્રિલ કરવામાં આવતા જંક જામી જવાથી વાલ્વ, પાઈપ વિગેરે કામ જ કરતા ન હોવાનું બહાર આવ્યું હતું. અને ગંભીર બેદરકારીબહાર આવવા પામી હતી. આમ દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે તેવી સ્થિતિ ન સર્જાઈ તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની વધુ અવાર જવર વાળા જાહેર કોમ્પ્લેક્ષ, હોટલો, હોસ્પિટલો સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે.
ચીખલીના મામલતદાર રાકેશભાઈ જોષીના જણાવ્યાનુસાર ફાયર સેફટીની ચકાસણી માટે ઉપરથી કોઈ સૂચના નથી, ઉપરથી સૂચના મળશે તો ફાયર સેફટીની ચકાસણી કરાવી લઈશું.
Previous post