અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્યાણની આરાધના-પૂજા કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે મંગળવારે પવિત્ર શ્રાવણ માસ ઉપલક્ષમાં 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી. બહેનોએ રાજ્યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબુદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, કલ્યાણ કારી શિવ સૌનું કલ્યાણ કરે તેવી પૂજા અર્ચના-આરાધના કરી હતી.
શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું અનેરૂ મહત્ત્વ છે. તેમાં પણ પૂત્રદા એકાદશીએ બહેનો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ શુભ દિવસ ધ્યાને રાખી બહેનો દ્વારા હરિયા પાર્ક અંબામાતા મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથાકાર ધરમભાઈ જોષીએ જણાવ્યું હતું કે, જેમ કોરોનાના સમયે હરિયા પાર્કના લોકો પારિવારિક ભાવના સાથે હળી મળી એકબીજાને મદદરૂપ થયા હતા તેવી જ રીતે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ઘરે ઘરે લહેરાવીશુ. લંપી વાયરસમાં મૃત્યુ પામેલ ગૌમાતાના આત્માઓને મહાદેવ શાંતિ અર્પણ કરે, પૂજાની વિશેષતાએ હતી કે બહેનોએ હાથમાં ધ્વજ રાખી શિવલીંગની પૂજા કરી હતી.