છીરીથી સંતોષકુમાર પત્ની સુનયના દેવી સાથે બિલીમોરા દર્શન કરવા નિકળ્યો હતો : બાઈક ખાડામાં પટકાતા ઘાયલ પત્ની સારવારમાં ખસેડાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10
વાપી વલસાડ નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓને લીધે અનેક અકસ્માતો સર્જાયા છે તેમજ પાંચ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. તેવો વધુ એક ભોગ હાઈવેના ખાડાઓએ લીધો છે. વાપીથી બિલીમોરા દર્શન કરવા નિકળેલ દંપતિનું બાઈક વલસાડ હાઈવે પર ખાડામાં પટકાતા પત્ની બાઈક ઉપરથી નીચે પટકાઈ હતી. 6 દિવસની સારવાર બાદ કસ્તુરબા હોસ્પિટલમાં પત્ની અંતિમ શ્વાસ લીધો હતો.
વાપી છીરી જલારામ નગરમાં રહેતો સંતોષકુમાર રાજદેવ સીંગ ગત 03 ઓગસ્ટના રોજ બિલીમોરા મહાદેવના દર્શન માટે પત્ની સુનયનાદેવી સાથે બાઈક ઉપર નિકળ્યો હતો. વલસાડ હાઈવે મોટી સરણ શિવમ હોટલ સામે સંતોષનું બાઈક અચાનક ખાડામાં પટકાતા પાછળ બેઠેલી પત્ની સુનયના નીચે પટકાઈ હતી. માથા અને કાનમાં ગંભીર ઈજા પહોંચતા સ્થાનિકોએ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. સારવારના છટ્ઠા દિવસે સુનયનાએ આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા. ઘટના અંગે ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.