(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામતા સામાન્ય પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે સક્રિય થાય તે જરૂરી છે.
ચીખલી પંથકમાં સંખ્યાબંધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો જેમાં બળદો અને સાંઢનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી જતાં સામાન્ય પ્રજા અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલીના મેઈન બજાર, વાણીયાવાડ, ખત્રીવાડ, જુના બસ સ્ટેન્ડ તેમજ શાકભાજી માર્કેટ વિસ્તાર,ચીખલી-જુના વલસાડ રોડ, ચીખલી ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ટોળેટોળા જાહેર માર્ગો ઉપર દોડતા હોય તેમજ કેટલીક વાર જાહેર માર્ગો ઉપર જ આખલાઓ વચ્ચે યુદ્ધો થતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ પણ નાસભાગ કરવાની નોબત આવતી હોય છે. ચીખલી જુના વલસાડ રોડ સ્થિત દેવ કોમ્પ્યુટર પાસે મંગળવારની સાંજના સમયે આખલાઓ યુદ્ધે ચડતા એક સમયે ભાગદોડ મચી જવા પામી હતી. આ આખલા યુદ્ધમાં એક મોટર સાયકલ ને અડફતે લેતા નુકશાન થવા પામ્યું હતું. ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરો ગમે ત્યારે બાખડી પડી રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા જાહેર રસ્તાઓ ઉપર ભાગદોડ મચી જવા પામી છે.
ત્યારે નિર્દોષ રાહદારીઓને અડફતે લેતા આવા આખલાઓને જેર કરવાની તાતી જરૂર છે. ચીખલી પંથકમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આખલા યુદ્ધ બાબતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ મોતને ભેટે એ પહેલાં સ્થાનિક વહીવટી તંત્ર સજાગતા દાખવે તે જરૂરી બન્યું છે.