ખાનગી જમીન માલિક પ્રદીપ ગુદરાસિયાના ફાયદા માટે ખતલવાડ પંચાયતે ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સર્વનું મતે પસાર કરેલા ઠરાવમાં રસ્તાની જમીનની પહોળાઈ અને લંબાઈ વધારવા માટે આપેલી મંજૂરી સત્તાની ઉપરવટ હોવાની શકયતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ તાલુકાની ખતલવાડ પંચાયત દ્વારા ખાનગી જમીન માલિકને ફાયદો કરાવવા માટે સવર્કનુમતે પસાર કરવામાં આવેલો ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સામે ગ્રામજનોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.ખાનગી જમીનને એનએ ની પ્રક્રિયા માટે 15 મીટર પહોળો અને 310 મીટર લંબાઈ ધરાવતા રસ્તાની આવશ્યકતા પડતા જમીન માલિક પ્રદીપભાઈ ગુદરાસિયાએ પંચાયત પાસે રસ્તા ઉપર કામગીરી માટે પરવાનગી માંગી હતી અને પંચાયતે આ અરજીના અનુસંધાનમાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ખતલવાડ વંકાસ મુખ્ય રસ્તાથી આ ખાનગી જમીન સુધી પહોંચવા માટે સરકારી જમીન તેમજ દેડક તળાવની અને વધુ એક અન્ય ખાનગી માલિકની જમીનનો સમાવેશ થાય છે. જે માર્ગ માટે પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અહીં પગદંડી માર્ગ છે અને જે માર્ગ પંચાયતના ચોપડે નોંધાયેલ છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. આ ઉપરાંત આ માર્ગ સરકારી જમીન અને તળાવની પાડ ઉપરથી પસાર થાય છે તેમજ અન્ય એક ખાનગી માલિકીની જમીન આવેલી છે. આ સમગ્ર પ્રકરણ સત્તાની ઉપરવટ હોવાનું આંકલન કરવામાં આવી રહ્યું છે. જેની ઝીણવટપૂર્વક તપાસની આવશ્યકતા જણાઈ રહી છે.
—-