શ્રી કૃષ્ણ, રાધાના વિભિન્ન સ્વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17
વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્ચે ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ, વિવેચક અને સંપાદક તરીકે મશહૂર બનેલા અંકિત ત્રિવેદીના સાનિધ્યમાં વી.આઈ.એ. દ્વારા ‘‘વાંસળી અને સુદર્શન” વિષયની પરિભાષામાં ઈમ્પેક્ટનું આઠમું નજરાણુંવિશિષ્ટ શ્રોતાઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વી.આઈ.એ. કમીટી મેમ્બર પરાગ દોશીએ મુખ્ય વક્તા અંકિત ત્રિવેદીનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો તેમજ માનદમંત્રી કલ્પેશ વોરાએ ઈમ્પેક્ટ ટોક શરૂ કરવાનો ઉદ્દેશ સમજાવ્યો હતો. વી.આઈ.એ. દ્વારા વિશિષ્ટ કેરેક્ટરોને આમંત્રિને જ્ઞાન, ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી 7 પ્રતિભાઓ, વાપી વી.આઈ.એ.માં પધારી ચુક્યા છે. જેમાં ડો.પવન અગ્રવાલ (ડબ્બા ટિફિન મેનેજમેન્ટ મુંબઈ), પ્રિયા કુમાર, સુરેશ શ્રીનિવાસન, મનન દેસાઈ, ચેતના ગાલા સિન્હા, ચેતન ભગત તથા જી.અન્નાદુરલ જેવી પ્રતિભાઓ વી.આઈ.એ.ના ઈમ્પેક્ટ ટોક શોમાં મુખ્ય અતિથિ તરીકે આવી ચૂક્યા છે. આગામી સમયે બોમન ઈરાની, સંજય રાવલ, ડો.સુભાષ ચન્દ્રા જેવી હસ્તીઓ લાવવાનું વી.આઈ.એ.નું પ્લાનીંગ છે. અંકિત ત્રિવેદી ગુજરાતના પ્રથમ પંક્તિના કવિ, લેખક અને મોટીવેટર છે. તેમણે શ્રી કૃષ્ણ ગીતા અને અર્જુન વિષાદ, ગીતા રહસ્યો ઉપર માર્મિક પ્રકાશ પાડયો હતો. અંતે શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ અને ટીમે સ્મૃતિ ચિન્હ આપી અંકિત ત્રિવેદીનું સન્માન કર્યું હતું તેમજ માનદમંત્રી સતીષ પટેલએ આભારવિધિ કરી હતી.