(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21
કિલ્લા પારડી સ્થિત સી.બી.એસ.ઈ. શાળા શ્રી વલ્લભઆશ્રમ કક્ષાએ તારીખ 18-8-2022 ના રોજ શાળા ઓડિટોરિયમ ખાતે જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ આનંદ ઉલ્લાસ પૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી.
પ્રથમ કાર્યક્રમની શરૂઆત શાળા ચેરમેન પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી, શાળા ટ્રસ્ટીશ્રી બાબુભાઈ ગોગદાણી તથા આચાર્યશ્રી દ્વારા આરતી પૂજા કરાઈ હતી અને ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના દરેક વિભાગે આગવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેવો કે નાટક, શ્રીકૃષ્ણ ધૂન, નૃત્ય વગેરે. શ્રી વલ્લભઆશ્રમ શાળાનો આગવો હોસ્ટેલ વિભાગ છે. જેમના દ્વારા ઉત્કૃષ્ટ નાટક, નૃત્ય અને ગીતોની રમઝટ બોલાવાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મેળવેલ રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ બદલ તેમને પ્રમાણપત્રો તથા મેડલ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં મુખ્યત્વે અંડર 14 ગર્લ્સ વોલીબોલ, આઈ.પી.એસ.સી. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા ખેત મહાકુંભમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ હતો. શાળાના બાલમંદિર વિભાગ દ્વારા સુંદર કૃષ્ણ ધૂનની કૃતિ રજૂ કરાઈ હતી. જેને સ્વામીજીએ આહલાદક શબ્દોમાં વખાણી હતી, પરમ પૂજ્યસ્વામી શ્રી હરિપ્રસાદદાસજીએ એમના આશીર્વાદ વચનમાં ધર્મ માટે હંમેશા સત્યનો સહારો લઈ ધર્મ રક્ષા કરવાની શીખ આપી હતી. એમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હંમેશા સત્યનું સેવન કરવું જોઈએ અને પ્રસ્તુત કાર્યક્રમની સુંદરતા તથા સફળતા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રી આર.પી. મૌર્યએ ગીતા સંદેશ સાથે વિદ્યાર્થીઓને ધર્મ પરાયણતાનો સંદેશ આપ્યો હતો. તથા આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો તે બદલ શાળા વિદ્યાર્થી ગણ તથા શિક્ષક ગણને અભિનંદન આપ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો.