(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: ગુજરાતીઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ મહિનો. સમગ્ર મહિના દરમ્યાનસ્ત્રી-પુરુષો ઉપવાસ રાખી ભગવાનને રિઝવવાનોપ્રયાસ કરે છે. સાથે સાથે દરેક મંદિરોને પણ વિવિધ રીતે શણગારવામાં આવે છે.
ભક્તિ અને આસ્થાના પ્રતીક એવા પારડી દમણીઝાપા પટેલ સ્ટ્રીટ ખાતે આવેલ એકલિંગી મહાદેવના મંદિરમાં પણ છેલ્લા 11 વર્ષથી અવનવી રીતે શિવલિંગને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શણગારવાની પ્રથા ચાલતી આવે છે.
સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શિવ ભક્તોએ પણ પૂજા ભક્તિની સાથે દેશ પ્રેમ વ્યક્ત કરી આ વર્ષે દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાને શિવજીના શિવલિંગના શણગારમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
આકર્ષણનું કેન્દ્ર બનેલા આ શિવલિંગના શણગારમાં તિરંગા માટે મગ, સાબુદાણા અને મસૂરની દાળ જેવા કઠોળનો ઉપયોગ થયો હતો. જ્યારે અશોકચક્ર માટે સ્વયં શિવલિંગનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ વેફર, ચોકલેટ, બિસ્કીટ અને ઠંડા પીણાનો ઉપયોગ કરી ખૂબ જ સુંદર અને કલાત્મક રીતે શિવલિંગ શણગારવામાં આવ્યું હતું.
આ શિવલિંગ શણગારવામાં ભક્તિબેન પૂજારી, જીતુભાઈ, હેમંતભાઈ, ચેતનભાઈ પૂજારી, ચકુબેન, દક્ષાબેન, નયનાબેન જેવા ઉત્સાહી ભક્તોએ સેવા આપી હતી.