(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી ટોકર ખાડીના ઉપરના ભાગે વંકાસ ખાતે ખાડીમાંથી અસંખ્ય મૃત માછલીઓ મરી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. અને બીજી ઘટના સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી નહેરમાં કેમિકલ યુક્ત પાણીનું વહેણ જોવા મળ્યું હતું. નહેરનું પાણી ઉપરના ગામડાઓના ખેતરમાં ફરી વળતા ખેડૂતોમાં વ્યાપક ફરિયાદ ઊઠવા પામી હતી. આ પ્રકારની ઘટના દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ઘટવા પામે છે જે ઘટનાઓ ઉપર અંકુશ મુકવામાં જવાબદાર વિભાગના પ્રયાસો સફળ થવા પામ્યા નથી.
બે દિવસ પહેલા સરીગામ જીઆઇડીસી કેમિકલ ઝોનમાં રોડ નંબર 32 પર કાર્યરત સિયારા ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી વરસાદી પાણીના વહેણ સાથે કેમિકલ યુક્ત કલરવાળું પાણી પસાર થઈ રહ્યું હોવાની મળેલી ફરિયાદને આધારે જીપીસીબીએ સ્થળ નિરીક્ષણ કરી નમૂના એકત્રિત કર્યા હતા. અને એકત્રિત કરેલા નમૂના કેમિકલ યુક્ત જણાતા એનાલિસિસ માટે વાપી લેબોટરીમાં મોકલવામાં આવ્યા છે જેનોરિપોર્ટ હજુ સુધી પ્રાપ્ત થયું નથી જેથી દોષિત જણાતી કંપની સામે આવવા પામી નથી. સરીગામ કેમિકલ ઝોન રોડ નંબર 32 ઉપર ત્રણ કંપની કાર્યરત છે. શિયારા ઈન્ડસ્ટ્રીઝ, ઉદિત કેમિકલ અને ઉમિયા ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. પ્રાથમિક તારણ જોતા એક કંપનીનું પ્રોડક્શન જીરો ડિસ્ચાર્જ છે અર્થાત એ કંપનીનું પાણી નહીં હોવાનું જણાઈ રહ્યું છે જ્યારે બીજી કંપની ઉદ્દીત કેમિકલ ક્લોઝરનો સામનો કરી રહી છે. જ્યારે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ફેરેસ સલ્ફેટનું ઉત્પાદન કરે છે જેની પ્રક્રિયા દરમિયાન કેમિકલ મિશ્રણના છાંટાઓ કંપનીમાં ઉડતા હોવાનું નકારી શકાતું નથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ એકત્રિત કરેલા નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્યતા બહાર આવશે. આ ઘટનામાં જીપીસીબીના અધિકારી એમની કાર્યશૈલી મુજબ તટસ્થ રાહે પગલા ભરશે એમાં બે મત નથી.