ખરાબરસ્તાનો પ્રશ્ન હવે વિઘ્નહર્તા ગણેશજીના દરબારમાં, વિસર્જન સુધીમાં ખરાબ રસ્તા સુધારવાનું બેઠકમાં થયું ચિંતન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ગણેશ ઉત્સવના આયોજકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઠેર ઠેર ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે પારડી પંથકમાં ગણેશ ઉત્સવ શાંતિમય અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે પારડી પોલીસ મથકના પી.એસ.આઈ જે.એન. સોલંકીએ ગણેશ મંડળના આયોજકો સાથે પારડી યુનિટી હોલ ખાતે બેઠક યોજી હતી. જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન થાય જેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતં. આ ઉપરાંત માર્ગને અડચણરૂપ ગણેશ મંડપ ન ઊભો કરવા તેમજ ઉત્સવના આડમાં મંડપ પાછળ જુગાર રમવો કે દારૂની મહેફિલ જેવી પ્રવૃત્તિ ન કરવા કડક શબ્દોમાં જણાવ્યું હતું. આ સાથે વિસર્જન વેળા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દરેક મંડળે સ્વયંસેવકો તૈયાર કરવા તેમજ વીજ લાઇનથી બચવું જેવા સૂચનો પીએસઆઈએ કર્યા હતા. આ ઉપરાંત શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા હોય વિસર્જન યાત્રા દરમિયાન ખાડામાં વાહન પડતાં મુર્તિઓ ખંડિત ન થાય કે પછી અકસ્માત ન બને તે માટે પંચાયત કે પછી પાલિકાએ આ ખરાબ માર્ગો જેતે જવાબદાર તંત્રને જાણ કરીરીપેર કરાવે તેવી પણ ચર્ચા થઈ હતી. ખરાબ રસ્તાનું વિઘ્ન દૂર કરવા પોલીસ પણ કમર કસી રહી હોવાનું આ મુદ્દે જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત પારડી પોલીસે આ વખતે જરૂરી સૂચનો સાથેનું એક ખાસ ફોર્મ તૈયાર કર્યું છે જે દરેક મંડળોએ લઈ 27 તારીખ સુધીમાં ભરી જમા કરાવવાની સૂચના આપી હતી. આ વખતે આયોજકોને ટોકન નંબર પણ આપવામાં આવશે, જે વિસર્જન યાત્રા દરમિયાન વાહનો પર લગાવવું. જેથી કરી કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક આયોજકોનો સંપર્ક પોલીસ કરી શકે અને વ્યવસ્થિત રીતે વિસર્જન પૂર્ણ થઈ શકે. વધુમાં આ વખતે ડીજે સહિતના વાજિંત્રો વિશ્રામ હોટલ સુધી જ લઈ જવા દેવામાં આવશે જેવી માહિતી પણ પારડી પોલીસે આયોજકોને આપી હતી. ખરાબ રસ્તાના નિરાકરણ માટે પારડી પોલીસે સંલગ્ન અધિકારીઓને સાથે રાખી બીજી બેઠક યોજવાની હોય જેમાં તમામ આયોજકો હાજર રહે તેવું જણાવ્યુ હતું.