50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: ગુજરાત રાજ્યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ માટે ગતતા.04 ઓગસ્ટથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજ્ય વ્યાપી તલાટી હડતાલમાં વલસાડ જિલ્લાના તલાટી પણ જોડાયા છે. તલાટીઓની 10 દિવસની હડતાલને લઈને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના રોજબરોજના કામકાજો ઠપ્પ થઈ ગયા છે તેથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈ આજરોજ સોમવારે વલસાડ તાલુકા સરપંચ સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વલસાડ તાલુકા સરપંચ સંઘએ આવેદનમાં કરેલી રજૂઆત મુજબ તલાટી કમ મંત્રીઓની હડતાલથી ગ્રામજનોના જન્મ-મરણ દાખલા, આધાર કાર્ડ, જાતિ વિષયક દાખલા, આવકના દાખલા જેવા રોજબરોજના કામો માટે લોકો પંચાયોતમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરિણામે વિકટ અને વિષમ સ્થિતિ દિવસે દિવસે ઉભી થઈ રહી છે. તેથી રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવા આજે 50 જેટલા સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કેબીનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને પણ અનેક લોકો દ્વારા વ્યાપક ફરિયાદો કરવામાં આવી છે ત્યારે જાહેર હિત માટે તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવો રહ્યો.