સાંસદ હસમુખભાઈ સોમાભાઈ પટેલની અધ્યક્ષતામાં 9 સાંસદોની ટીમે દમણની બે દિવસની લીધેલી મુલાકાતઃ પ્રશાસનના અધિકારીઓએ ‘જલ જીવન મિશન’ અને ‘સ્વચ્છ ભારત મિશન’ ઉપર રજૂ કરેલું પ્રેઝન્ટેશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલની અધ્યક્ષતામાં જળ સંસાધન ઉપરની 9 સાંસદો વાળી સંસદીય સ્થાયી સમિતિએ ગઈકાલે અને આજે દમણની મુલાકાત લીધી હતી. આ સમિતિએ વેસ્ટ વોટર મેનેજમેન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનના સંબંધિત કાર્યાન્વિત કામો અને ગતિવિધિઓ ઉપર અધ્યયન કરવા માટે દમણની મુલાકાત લીધી હતી.
આજે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનનું સમિતિ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સંસદીય સમિતિએ 2024ની સમયમર્યાદા પહેલાં જ હર ઘર જળનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની સરાહના કરી હતી. કુલ 85156 ઘરોને સામેલ કરી દરેક ગ્રામીણ પરિવારોને વ્યક્તિગત નળ કનેક્શન પ્રદાન કરવામાં સંઘપ્રદેશે 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. સંસદીય સમિતિએ ખુલ્લામાં શૌચ મુક્તના ઉચ્ચ માપદંડને હાંસલ કરવા માટે પણ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્ત મને પ્રશંસાકરી હતી.
સંસદીય સમિતિએ નાની દમણના વેક્યુમ આધારિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘર, પરિયારીમાં નવનિર્મિત પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય, જ્યુપ્રિમમાં આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર તથા જમ્પોરમાં રામસેતૂ બીચ રોડનું પણ નિરીક્ષણ કર્યું હતું.