વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ શહેરમાં આવેલા પૂર બાદ શહેરના કેટલા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. જેને લઈને લોકોના ઘરવખરી સહિતનો સામાન પૂરમાં તણાઈ ગયો હતો. આ પૂરનો ભોગ બનનાર પરિવારને લાયન્સ કલબ ઓફ બલસાર દ્વારા અનાજની કીટ અને બ્લેન્કટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વલસાડ શહેરના તરિયાવાડ, બંદર રોડ, દાંતી, કકવાડી, મોગરાવાડી, તાપાવાડ વિસ્તારના આશરે 300 જેટલા પરિવારને આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા લાઈન્સ ક્લબ ઓફ બલસારના પ્રમુખ કાર્તિક દેસાઈએ જણાવ્યું હતું કે, લાયન્સ ક્લબ ઓફ બલસારને લાયન્સ ઈન્ટરનેશ દ્વારા 10 હજાર ડોલરની ગ્રાન્ટ મળી હતી. જે પૈકી લાયન્સ ક્લબ ઓફ બલસારને 300 અનાજની કીટ તથા બ્લેન્કેટ મળેલા હતા. જેનું વિતરણ પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકોમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિષ્ટ્રિકટ ગવર્નર મુકેશભાઈ પટેલ, સેકેન્ડ વી.ડી.જી. પરેશભાઈ પટેલ તથા ડિષ્ટ્રિકટ સેક્રેટ્રી પી.એ.પટેલ હાજર રહ્યા હતા. સાથે જ લાયન્સ ક્લબ ઓફ બલસારના પ્રમુખ કાર્તિક દેસાઈ, સેક્રેટરી લા.મૈત્રી દેસાઈ, ટ્રેઝરર લા. અભિલાષ દેસાઈ સહિત ટીમના તમામસભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા.