(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: રૂમલા-મોગરાવાડી જેવા વિસ્તારમાં કાંકરિયા ખાડીના પુરથી કેળના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેમાં વળતર પણ ન મળતા અને હાલે કેળાના ભાવ પણ નીચે જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ડામડોળ થવા પામી છે.
ચીખલી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ગત તા.14-જુલાઈના રોજ તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક ખાડીઓ ગાંડીતુર બનવા સાથે ઘોડાપુર આવતા તાલુકામાં આંબા કલમ, કેળ, શાકભાજી, સુરણ, કંદ સહિતના પાકોને મોટાપાયે નુકશાન થયું હતું. તાલુકાના રુમલા મોગરાવાડી સહિતના વિસ્તારમાં ખેડૂતો મોટાપાયે કેળની ખેતી કરતા આવ્યા છે ત્યારે 14 જુલાઈના રોજ આ વિસ્તારમાંથી પસાર થતી કાંકરિયા ખાડીમાં પણ પૂર આવતા કેળના પાકને ભારે નુકસાન થયું હતું. આ સમયે કેળનો પાક લહેરાઈ રહ્યો હતો. ખેડૂતો ઉતારવાની તૈયારીમાં હતા અને ભાવ પણ સારાહતા તે સમયે જ પૂર આવતા ખેડૂતોનો મોંમાં આવેલ કોડિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પૂર બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોનથી પણ સર્વે કરાયું હતું. પરંતુ આજ દિન સુધી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવાઈ નથી વધુમાં હાલે કેળાના ભાવ પણ નીચે ઉતરી જતા ખેડૂતોને આર્થિક બોજ વેઠવાના દિવસો આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા ઝડપથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રૂમલાના ખેડૂત નરેશભાઈ પટેલના જણાવ્યાનુસાર કાંકરીયા ખાડીમાં આવેલ પૂરમાં અમારો કેળનો પાક જમીન દોષ તથા મોટું નુકસાન થયું હતું. જેમાં સર્વે પણ ખેતીવાડી વિભાગ દ્વારા કરાયું હતું. પરંતુ આજ દિન સુધી સહાય ચૂકવાઈ નથી.
ખેતીવાડી અધિકારી નિલેશભાઈના જણાવ્યાનુસાર ચીખલી તાલુકામાં પૂરમાં ખેતી વાકોને થયેલ નુકસાન અંગેનું સર્વે કરી જરૂરી અહેવાલ ઉપલી કચેરીએ મોકલવામાં આવેલ છે. પરંતુ હજુ ઉપલી કચેરીએથી સહાય અંગે કોઈ માહિતી આવેલ નથી.