રોજગાર મેળામાં 40થી વધુ કંપનીઓએ કાઉન્ટર લગાવી યુવાઓના ઇન્ટરવ્યુ લઈ લાયક ઉમેદવારને આપવામાં આવેલા નોકરીના જોઈનીંગ લેટર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે બે દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન લેબર અધિકારી શ્રી મિહિર જોશી અને સરપંચ શ્રીમતી કળતિકાબેન બારાતના હસ્તે કરવામાંઆવ્યું હતું. આ રોજગાર મેળામાં 40થી વધુ કંપનીઓ દ્વારા કાઉન્ટર લગાવી યુવાઓના ઈન્ટરવ્યુ લઈ યોગ્ય ઉમેદવારને નોકરીના માટેના જોઈનીંગ લેટર આપવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક યુવક-યુવતીઓને કંપનીઓમાં ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. આ પ્રસંગે કંપની સંચાલકોના જણાવ્યા અનુસાર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે એમાંથી અમને યોગ્ય કર્મચારીઓ મળી જાય છે, જેથી અમારે કર્મચારીઓને બહુ શોધવાની જરૂર પડતી નથી. આ રોજગાર મેળાનો લાભ લેવા આવેલ યુવાન-યુવતીઓના જણાવ્યા અનુસાર -પ્રશાસન દ્વારા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે એ ઘણી જ સારી બાબત છે, જેનો સીધો લાભ અમને મળી રહે છે. પરંતુ તેમાં વધુ પડતા ટેકનિકલ કર્મચારીઓની માંગ હોય છે. સ્થાનિક કંપનીઓ જો ઈમાનદારીથી નોકરીઓ આપે તો સ્થાનિક યુવાન-યુવતીઓનું ભવિષ્ય સુધરે છે. આ અવસરે લેબર વિભાગના અધિકારીઓ, કંપની સંચાલકો સહિત મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુ યુવાન યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.