-
મોદી સરકારની સંવેદનશીલતા અને વચન પુરા કરવા માટેની પ્રતિબધ્ધતાનું દાનહમાં પણ જોવા મળેલું દૃષ્ટાંત
-
ભારત સરકારના રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે દાનહ લોકસભાની પેટા ચૂંટણી સમયે રાંધાના વનવાસી કલ્યાણ આશ્રમની મુલાકાત સમયે હોસ્ટેલની કન્યાઓને ઈન્ટરનેટ કનેક્ટિવીટી પુરી પાડવા આપેલું વચન યથાર્થ પૂર્ણ કર્યું
-
સંઘપ્રદેશ ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી વિજ્યા રહાટકરે રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને પાઠવેલા અભિનંદન અને માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.30: દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેટલી સંવેદનશીલ અને આપેલા વચનો પુરા કરવામાં કેટલી પ્રતિબધ્ધ છે તેનું સાક્ષાત દૃષ્ટાંત ફરી એકવાર દાદરા નગર હવેલી ખાતે જોવા મળ્યું હતું.
ગત તા.4થી ઓક્ટોબર, 2021ના રોજ ભારત સરકારના રેલ અને સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીના પ્રચારમાંથી સમય કાઢી રાંધા ખાતે આવેલ વનવાસી કલ્યાણ આશ્રમની કન્યા હોસ્ટેલની મુલાકાત લીધી હતી. તે વખતે હોસ્ટેલની કન્યાઓએ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઈન્ટરનેટ કનેક્ટિવીટી આ વિસ્તારમાં નહીં હોવાની માહિતી આપી હતી. જેના કારણે પૈદા થતી સમસ્યાથી પણ મંત્રીશ્રીને અવગત કરાયા હતા.
રાંધા વિસ્તાર દાદરા નગર હવેલીનો એક મોટો ડુંગરાળ અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. અહીં ઈન્ટરનેટ કનેક્ટિવીટી નહીં હતી અને કનેક્ટિવીટી શરૂ કરવી પણ ખુબ જ મુશ્કેલ હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં બીએસએનએલની ટીમે આપેલા વચનને પૂર્ણ કરવા પોતાની તમામ શક્તિ કામે લગાવી અસંભવ ગણાતા કામને સંભવ બનાવવા સફળ રહ્યા છે અને રાંધાની કન્યાઓ સુધી ઈન્ટરનેટ કનેક્ટિવીટી પહોંચતા હવે તેઓ ડિજિટલ ઈન્ડિયાનો હિસ્સો પણ બની છે.
ભારત સરકારના કેન્દ્રીયરેલ અને સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે એક ઊંડાણના આદિવાસી વિસ્તારની સમસ્યાને યાદ રાખી તેના ઉકેલ માટે કરેલા પ્રયાસ બદલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્યા રહાટકરે અભિનંદન પાઠવી આભાર પણ પ્રગટ કર્યો છે.