(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: હિન્દુ ધર્મના સૌથી મોટા દેવ ગણેશજીની આરાધના કરવાનો પર્વ ચાલી રહ્યો છે. ભાવ અને ભક્તિ સાથે સ્થાપના કર્યા બાદ બીજા વર્ષની ફરી સ્થાપનાની કામના સાથે ઢોલ નગારા અને નાચ ગાનના ઉમંગથી ગણપતિ દેવની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે. ગતરોજ દોઢ દિવસની સ્થાપના કરવામાં આવેલી મૂર્તિઓનું ઉમરગામ દરિયાકાંઠે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારના સમયે 100 થી વધુ પ્રતિમાઓ ખંડિત હાલતમાં દરિયા કિનારે દ્રશ્યમાન થતી હતી. આ દ્રશ્યથી ભાવિક ભક્તોની ભાવનાને ઠેસ પહોંચી રહી હતી અને ભારે નારાજગી જોવા મળી રહી હતી. જેના કારણે પાલિકા તંત્ર એ ખંડિત પ્રતિમાનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પ્રકારની સમસ્યા દર વર્ષે જોવા મળે છે જેમાં ભક્તો દ્વારા વિસર્જન કરવાની પદ્ધતિ અને પ્રતિમાની બનાવટ મુખ્ય જવાબદાર હોય છે. ખાસ કરીને પ્રતિમાનું કદ મોટું હોય તો એને દરિયાના ઊંડાણના ભાગમાં વિસર્જન કરવું જોઈએ અને ખાસ કરીને મૂર્તિની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો બિલકુલ ઉપયોગ ન થાય એની કાળજી રાખવી જોઈએ. અને ભક્તો દ્વારામૂર્તિની વિસર્જન સ્થળ તરીકે તળાવ કે નદી કાંઠો તેમજ કુત્રિમ તળાવની પસંદગી કરવી જોઈએ, જેથી આ પ્રકારે અપમાનિત કરતા દ્રશ્ય પર અંકુશ આવી શકે.