(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શેરીમાળ ગમ ખાતે આવેલી વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાનો તા. ૦૧-૦૯-૨૨ના રોજ ૭૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાની સ્થાપના તા.૦૧-૦૯-૧૯૪૮ના રોજ થઈ હતી અને આ વિદ્યામંદિર અનોખો ઈતિહાસ ધરાવે છે. વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા આજે સ્થાપિત છે તે જગ્યા પર શેરીમાળ ગામના ગ્રામજનો તે સમયે “રાધાકૃષ્ણ મંદિર” બનાવવા ભેગા થયા હતા. પરંતુ મંદિર બનાવવા ભેગા થયેલા આગેવાનોમાંથી ખાસ કરીને સ્વર્ગસ્થ ઉકાભાઈ માસ્તર, કલ્યાણજી કાકા, ભુલાભાઇ, ઝીણાભાઇ, જેરામભાઈ, ડાહ્યાભાઈ રામાભાઈ, બાબરભાઈ, લાલાભાઈ, મોતીભાઈ, ભીમજીભાઈ જેવા શિક્ષણના દૂરંદેશીઓએ વિચાર પ્રસ્તાવ તરીકે મૂક્યો કે “ આપણે રાધાકૃષ્ણ મંદિરના સ્થાને શિક્ષણનું ‘વિધામંદિર’ બનાવીએ તો આ વિદ્યામંદિર વિદ્યા દ્વારા આપણા સમગ્ર ગામને પાવન કરશે – ઉજાળશે. મા સરસ્વતી ઘરેઘરે વિદ્યાનો દીવો પ્રગટાવશે.” ત્યારબાદ મંદિરને સ્થાને વિધામંદિર બનાવવા માટે ચર્ચા વિચારણા શરૂ થઇ અને ઉપસ્થિત સૌ ગ્રામજનોએ આ વાતને આનંદભેર વધાવી લીધી હતી. વડીલોના દૂરંદેશી વિચારો થકી વિદ્યામંદિરને અનોખો અને ગૌરવભર્યા ઇતિહાસ મળ્યો અને શાળાને ગૌરવ અપાવનારા ગુરુજનો અને વિદ્યાર્થીઓ મળ્યા છે. આજે વિધામંદિર અમૃત મહોત્સવ શુભારંભ પ્રસંગે ઓમ – હવન સાથે ઉપસ્થિત ગુરુજનો અને વિધાર્થીઓને સન્માનવાનો સુઅવસર મળ્યો. શરૂઆતમાં જેરામભાઈ અને ઉકાભાઇના ઘરે શરુ થયેલી શાળાને પિતાના આજ્ઞાનું પાલન કરી, એ ૪૪ ગુંઠા જમીનદાનમાં આપી હતી તે પવિત્ર ભૂમિ પર શાસ્ત્રોક્ત વિધિયુક્ત નવા મકાન સાથે આ વિદ્યામંદિર ગૌરવપૂર્વક સ્થાપિત છે. સાથે સાથે ધરમપુર તાલુકાની પ્રથમ #School_Of_Excellence બનાવવા શિક્ષણ વિભાગની પ્રાથમિકતા મળી છે. વિદ્યામંદિરના સ્થાપના દિને બહોળી સંખ્યામાં ગ્રામજનો સહકારની ભાવનાથી ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ્ભોજન સાથે ગ્રામોત્સવ જેવો માહોલ સર્જાયો હતો.