-
બસ નું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મહત્વનું અંગ છે – મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી
-
વાપી જીઆઈડીસીના કામદારો માટે છ રૂટ ઉપર ૩૪ નવી ટ્રીપ શરૂ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ એશિયાની સૌથી મોટી વાપી જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓને આવવા જવામાં સરળતા રહે તે માટે ‘કર્મયોગી રથ’ના ખાસ નામથી વિવિધ બસ ડેપોમાંથી વધારાના ૬ રૂટ ઉપર ૩૪ ટ્રીપની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કર્મયોગી રથના રૂટમાં હાલમાં પ્રાથમિક ધોરણે વલસાડ, ધરમપુર, વાપી, દમણ, ઉમરગામ, નારગોલ, ખેરગામ, બીલીમોરા અને ચીખલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉદઘાટન પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ નવીન બસ ડેપોને જાહેરજનતાના લાભાર્થે ખુલ્લું મૂકી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, બસનું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મોટું અને મહત્વનું અંગ છે. એટલે જ સમગ્ર ભારતમાં એરપોર્ટ જેવી વિવિધ સુવિધાયુક્ત બસ ડેપોના ગુજરાતભરમાં નિર્માણ થયા છે. તેવી જ રીતે આ નવીન બસ ડેપો પણ અનેક સુવિધાથી લોકોની સેવા કરવા માટે સજ્જ છે. સરકારનું ધ્યેય દરેક તાલુકા કક્ષાએ તમામ સુવિધા ધરાવતા નવીન બસ ડેપોનું નિર્માણ અને ડેપોનું નવીનીકરણ કરવાનું છે જે કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. કર્મયોગી રથ શરૂ કરતાં કર્મચારીઓને નોકરી માટે આવન-જાવનમાં સરળતા થશે. આ એક સિદ્ધિ જ છે કે સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જે ચારેય કનેક્ટિવટી જેવી કે હવાઈ, રેલવે, દરિયાઈ અને માર્ગની સુવિધા ધરાવે છે. ગરીબો માટે એસટી બસ સુવિધાનું એક સાધન છે જે સરકાર સેવાના કાર્ય તરીકે કરી રહી છે. તેથી જ ગુજરાતમાં એક દિવસમાં ૨૫ લાખ લોકો એસટી બસ સેવાનો લાભ લઈ મુસાફરી કરી રહ્યા છે. લોકોની સુવિધા વધારવા માટે જ વડોદરા મુંબઈ એકસપ્રેસ – વે નું કામ સમયસર થઈ રહ્યું છે તેમજ બુલેટ ટ્રેનનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. આ તબક્કે મંત્રીશ્રીએ ઉમરગામથી નારાયણ સરોવર સુધી દરિયાઇ પટ્ટીમાં ૧૦ મીટર પહોળા કોસ્ટલ હાઇવે નિર્માણનું આયોજન કરાઇ રહ્યું હોવાનું વધુમાં જણાવ્યું હતું.
નવીન બસ ડેપોના ઉદઘાટન કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના લોકોને અભિનદન આપતા કહ્યું હતું કે, આ ડેપોથી સમગ્ર વલસાડ જિલ્લાના લોકોને લાભ થશે. આ નવા ડેપોની ફાળવણી માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમજ તેમણે એસટી વિભાગને જે ગામોમાં બસ બંધ થઈ ગઈ છે તે તમામ ગામોમાં ફરીથી બસ સેવા શરૂ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ સાંસદ ડૉ. કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કમલેશસિંહ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, સંગઠન મહામંત્રીશ્રીઓ શિલ્પેશ દેસાઇ અને કમલેશભાઈ પટેલ, એસટી નિયામકશ્રી બી.એસ. શર્મા, એસટીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.