ખેડૂતો દ્વારા ઘર, ઝાડોનું વળતર અલગથી ચુકવવાની માંગ કરવામાં આવી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.07: વડોદરા, મુંબઈ એક્સપ્રેસ-વે માં સંપાદિત જમીનના વળતર મેળવવા માટે મલિયાધરા, ધેજ અને ચરી સહિતના ગામોમાં સંયુક્ત ખાતેદારોમાં નાના-મોટા વિવાદના કારણે ખેડૂતો વળતર મેળવી શકતા નથી અને બીજી તરફ વાંધા અરજીની સુનાવણીમાં પણ કેટલાક કિસ્સાઓમાં નિરાકરણ ન આવતા અસરગ્રસ્ત ખેડૂતો જોઈન્ટ સર્વેમાં થયેલા પંચરોજકામ મુજબ એવોર્ડમાં જાહેર કરાયેલ વિગત અનુસાર ઝાડો તથા બાંધકામનું અલગથી વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે અને આ અંગે સાંસદ અનેપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાયદાની આંટીઘૂટી આગળ ધરી જમીન સંપાદનના અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.
આ દરમિયાન આજરોજ નવસારીના પ્રાંત અને જમીન સંપાદનના સક્ષમ અધિકારી રાજેશભાઈ બોરડ, નાયબ મામલતદાર કુલદીપ પરમાર, સર્કલ ઓફિસર સુરેશભાઇ દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા મલિયાધરા, ધેજ અને ચરી સહિતના ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજી વિવાદવાળા કિસ્સાઓમાં નિરાકરણ માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. અને ખેડૂતોને કબજા પાવતી પર સહી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ખેડૂતો વિવાદ હોય તેવા કિસ્સામાં એવોર્ડમાં દર્શાવેલ વિગત મુજબ સંબંધિત ખેડૂતોને ઝાડો અને બાંધકામોનું વળતર અલગથી ચૂકવવા માંગ પર અડગ રહ્યા હતા અને મોટેભાગના ખેડૂતોએ કબ્જા પાવતી પર સહી કરી ન હતી.
બીજી તરફ પ્રાંત અધિકારી રાજેશભાઈ બોરડે ખેડૂતોને વિવાદ વાળા કિસ્સામાં ઝડપથી અરસ-પરસ સમજૂતીથી નિરાકરણ લાવવા જણાવી તેમ ના કરશો તો વળતરની રકમ સરકારમાં પરત જમા કરાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. એક્સપ્રેસ-વે નું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે ખેડૂતો પણ સહકાર આપે તે જરૂરી છે તેમજણાવ્યું હતું. બેઠકમાં કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.