(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ વામન જયંતીના પાવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના 100થી વધુ જનોઈધારી બાળકો અને પુરુષોએ ભાગ લઈ વિધિવત જનોઈ બદલી હતી.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આજથી 72 વર્ષ પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા 15 વર્ષ થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્થિત પોતાના હોલમાં આ કાર્યક્રમ યોજી રહ્યું છે. દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્યક્તિ ભાગ લે છે. પાછલા બે વર્ષ કોરોનાકાળને કારણે આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. જો કે આ વર્ષે કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.