-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવેલોબદલાવ
-
સામાન્ય નાગરિકોના સહયોગથી જ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્વચ્છ પ્રદેશ બનશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
સ્વચ્છાગ્રહીઓનું સન્માન કરાયું અને લાભાર્થીઓને ડસ્ટબીન અને આઈસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, સંઘપ્રદેશની જનતાએ પ્રશાસનને હંમેશા સહકાર આપ્યો છે, જેના પરિણામે સંઘમાં વિવિધ વિકાસના કામો અને પ્રશંસનીય કામગીરી થઈ છે સ્વચ્છતા ક્ષેત્રે સફળતા મળી છે. શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોજ ગંદા રહે છે, લોકોએ સ્વચ્છતા પ્રત્યે પોતાની આદત બદલવાની જરૂર છે. સામાન્ય નાગરિકોના સહયોગથી જ સ્વચ્છ પ્રદેશ બનાવી શકાય છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રશાસન લોકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને છેલ્લી હરોળમાં બેઠેલા ગરીબ અને વંચિત લોકોને મુખ્ય સેવા સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. સામાન્ય જનતાના હિતમાં પ્રદેશમાં 26 જાન્યુઆરીથી સોલિડ વેસ્ટમેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોના ઘરે ઘરે જઈને કચરો ઉપાડવામાં આવશે. આ પ્રણાલીનો સંપૂર્ણ અમલ થાય તે માટે પ્રશાસનિક અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ અને રાત્રિ ચૌપાલનું આયોજન કરીને ઘણા સમયથી જાગળતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીમાં સંઘપ્રદેશમાં પ0 ટકા મહિલાઓ ચૂંટાઈ આવી છે. જે ગત ટર્મના જન પ્રતિનિધિઓ કરતા ઘણી વધુ સક્રિય છે. જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો અગાઉની જેમ પ્રશાસનને સહકાર આપી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને પણ સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના દરેક જનપ્રતિનિધિઓમાં હકારાત્મકતાનું વાતાવરણ પેદા થયું છે અને તેમનામાં વિકાસ પ્રત્યેની ભૂખ જાગૃત થઈ છે. તેમણે પ્રશ્ન પૂછયો હતો કે, પ્રશાસન કોના માટે ? શું લાલ ગાડીમાં ફરવા માટે કે વૈભવ ભોગવવા? પ્રત્યુત્તર આપતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાસન પ્રજાની સુખાકારી અને છેવાડેના આદિવાસી, દલિત વંચિતોના કલ્યાણ માટે છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેપ્રદેશના ઉદ્યોગો દ્વારા કરવામાં આવી રહેલ સીએસઆરના માધ્યમથી સખાવતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તમારા સારા ધ્યેય માટે આપવા વાળા ઘણા છે. તેમણે માર્મિક રીતે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન જો તમે કોઈનું સારુ કામ કરશો તો રાત્રે સારી ઉંઘ પણ આવશે અને જો તમે કોઈ આડુ-અવળું અનીતિનું કામ કર્યુ હશે તો પડખા ફેરવતા રહેશો તો પણ ઉંઘ નહીં આવશે. તેથી પ્રમાણિક અભિગમ રાખવા પણ ટકોર કરી હતી.
કાર્યક્રમ દરમિયાન, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વચ્છતા પ્રહરી એપનું વિમોચન કર્યું હતું, ત્યાર બાદ તેમણે સ્વચ્છાગ્રહીઓને ટી-શર્ટ અને કેપ આપીને સન્માનિત કર્યા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શાકભાજી વિક્રેતાઓને છત્રી અને ડસ્ટબીનનું વિતરણ રસ્તા કિનારે માછલી વેચનારાઓને આઈસ બોક્સ અને છત્રીઓનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાની સૌથી સ્વચ્છ પંચાયતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં દમણની દુણેઠા ગ્રામ પંચાયતને સૌથી સ્વચ્છ પંચાયતનો એવોર્ડ મળ્યો છે.પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલે આ એવોર્ડ લીધો હતો.
દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અને પંચાયતી રાજ વિભાગના સંયુક્ત સચિવ શ્રી આશિષ મોહને આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાંદમણ જિ.પં.ના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભંવર, દીવ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયા, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉદ્યોગપતિ શ્રી યાદવ, શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ, ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ ટંડેલ, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, જિ.પં.સભ્યો, નગર પાલિકાના કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે. સિંઘ, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, આરોગ્ય સચિવ શ્રીમતી એ. મુથમ્મા, જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવ, દાનહ જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસ, પોલીસ અધિક્ષક શ્રી શરદ દરાડે, શ્રી હરેશ્વર સ્વામી, નાયબ જિલ્લા કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, દાનિક્સ ઓફિસર શ્રી અપૂર્વ શર્મા, શ્રીમતી ચાર્મી પારેખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.