પ્લાસ્ટીક થેલી, ફુલો, અગરબત્તીના ખોખા, શ્રીફળ વગેરેનો કચરો ખાડી કિનારે નાંખી પર્યાવરણને મોટું નુકશાન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: હાલમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ ચારેદિશામાં ધામધૂમથી ચાલી રહ્યો છે તે સાથે સાથે ગણેશ વિસર્જન પણ ઠેર ઠેર થઈ રહ્યા છે. દોઢ, ત્રણ, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન પૂર્ણ થયા છે. આ દરમિયાન વાપી નજીક રાતા ખાડીમાં પણ અનેક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે ત્યારે વિસર્જન થયા બાદ ભક્તો અને લોકોએ ખાડી કિનારે ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધુ છે. જેથી પર્યાવરણને ભારે નુકશાનકર્તા સાબિત થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
વાપી વિસ્તાર અને ગ્રામ્યના અમુક ગણેશ મંડળોની મૂર્તિઓ રાતા ખાડીમાં વર્ષોથી વિસર્જન કરવામાં આવે છે તે મુજબ ગણેશ ચતુર્થી બાદ ક્રમશઃ વિસર્જન દરમિયાન રાતા ખાડી કિનારે ભાવિકોએ પ્લાસ્ટીક થેલી, ફુલો, અગરબત્તિ ખોખાનો વેસ્ટ ખડકી દીધો છે. ચોમેર ગંદકી દેખાઈ રહી છે. વિસર્જનની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ભાવિકોએ કરવી રહી. ધર્મ કરતા ધર્માન્ધતાના વધુ દર્શન રાતા ખાડી કિનારે નિહાળાઈ રહ્યા છે.