(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૮: ગુજરાત રાજ્યના કાર્યનિષ્ઠ અને વિશિષ્ઠ શિક્ષકોનાં કાર્યને બિરદાવવા માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા દરેક સ્તરે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા છે. શિક્ષક દિવસે તા. 5 સપ્ટેમ્બર, 2022નાં રોજ ગાંધીનગર મુકામે યોજાયેલ સમારંભમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નવીનગરી પ્રાથમિક શાળા, માલનપાડાના આચાર્યશ્રી મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમારને ગુજરાત રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન અને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. શ્રી મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમારને શાળામાં અધ્યાપન ક્ષેત્રે એમને કરેલી પ્રસંશનીય કામગીરી બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા રાજ્ય કક્ષાનું આ સન્માન પ્રાપ્ત થયેલ છે. તે અંતર્ગત એમને પ્રમાણપત્ર, શિલ્ડ અને પ્રોત્સાહક પારિતોષિક સ્વરૂપે ચેક પણ પ્રદાન કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્રસિંહ પરમારને અગાઉ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધરમપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થઈ ચુકેલ છે. રાજ્ય કક્ષાએ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે એમને ચિત્રકૂટ એવોર્ડનું સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન અને પારિતોષિક બદલ સમગ્ર વલસાડ જિલ્લા શિક્ષણ પરિવાર શ્રી મહેન્દ્રસિંહને અભિનંદન પાઠવે છે. નવીનગરી શાળાની એસ.એમ.સી.નાં સભ્યો, શિક્ષકગણ તથા ગ્રામજનો અને શાળાના બાળકોએ પણ આ પ્રસંગે વિશેષ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. પોતાની આ સિદ્ધિ અને સન્માન માટે સદા માર્ગદર્શન અને સહાય કરનાર જિલ્લાના અધિકારીશ્રીઓ, શાળાના પૂર્વ આચાર્યશ્રીઓ, સ્ટાફના શિક્ષક મિત્રો, મિત્રો, સામાજિક અગ્રણીઓ, શાળાના દાતાશ્રીઓ પ્રત્યે શ્રી મહેન્દ્રસિંહ પરમાર આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે. શ્રી મહેન્દ્રસિંહ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પોતાની ઉમદા સેવાઓ આપવા સાથે રક્તદાન, સ્વચ્છતા, પર્યાવરણ અને બીજી અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે.