April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

  • રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને ૨૦૨૩-૨૪ સુધીમા સાદા ચોખાને સ્થાને ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવશે – મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

  • ફોર્ટિફાઇડ ચોખાના કોઈ પણ ગેરફાયદા નથી, એ આરોગ્ય માટે ગુણકારી – નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઇ

  • ફોર્ટીફાઈડ ચોખા થેલેસેમિયા અને સીકલસેલના દર્દીઓની રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરે છે – પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.0૯: વાપીમાં અન્ન, નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાની મેરીલ એકેડેમી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટીફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનીમિયાના દર્દીઓ ઉપર થતી અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો. મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરી આ અવેરનેસ વર્કશોપને ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે આંગણવાડી કાર્યકર બહેનોને ટોકન ઓફ હેલ્થ સ્વરૂપે પોષણ કીટ આપવામાં આવી હતી.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ફોર્ટીફાઇડ ચોખાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ચોખાના વધુ સેવનને કારણે થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા રોગ થાય છે તેથી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં સરકારી યોજનાઓ હેઠળ ૭૧ લાખ રેશનકાર્ડ ધરાવતા ૩.૫ કરોડ લોકોને સામાન્ય ચોખાના સ્થાને ગુણકારી ફોર્ટીફાઇડ ચોખા આપવામાં આવશે. આ ચોખા વિશે અનેક અપ્રચાર પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ ચોખા અદ્યતન લેબમાં બનાવવામાં આવે છે, ચોખાના લોટમાં લોહતત્વ, વિટામિન બી12 અને ફોલિક એસિડ જેવાં મહત્વના તત્વો ઉમેરી ફોર્ટીફાઇડ ચોખા બનાવવામાં આવે છે. તેથી તેનું વજન સામાન્ય ચોખા કરતા ઓછું હોય છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે, સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩’ (NFSA) અંતર્ગત ત્રણ વર્ષ પહેલા નર્મદા જિલ્લામાં ફોર્ટીફાઈડ ચોખા વિતરણની શરૂઆત કરી હતી. હવે બીજા તબક્કામાં રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આની શરૂઆત કરવામાં આવી રહી છે. આજે માત્ર ગુજરાત રાજ્યમાં જ ફોર્ટીફાઈડ ચોખા બનવવાની અદ્યતન લેબ છે. સરકાર માત્ર ૧ રૂપિયામાં નજીવા ભાવે ફોર્ટિફાઇડ મીઠું પણ આપી રહી છે. સરકારનું ધ્યેય ગરીબોનું અનાજ સીધું ગરીબો સુધી જ પહોંચે એવું છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા આનુવાંશિક રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વર્ષ ૨૦૦૬થી સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ફોર્ટીફાઇડ ચોખા લોહતત્વની ગોળી કરતા વધુ ગુણકારી છે. તેમજ આ ચોખાના કોઈ ગેરફાયદા નથી, એનાથી માત્ર આરોગ્યમાં સુધારો જ થશે. કોરોનાકાળમાં અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ થતાં અન્ન માટે અશાંતિ ફેલાય એવા બનાવો બન્યા હતા પરંતુ માત્ર આપણા જ દેશમાં કોરોનાકાળ દરમિયાન અનાજ માટે કોઈ અશાંતિ ફેલાય એવા બનાવો બન્યા નથી એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, ફોર્ટીફાઈડ ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી. પરંતુ એ બધી અફવાઓ સરકારના માર્ગદર્શન દ્વારા દૂર થઈ રહી છે. આ ચોખા થેલેસેમિયા અને સિકલસેલ અનિમીયાના દર્દીઓ માટે લાભકારક છે. તેમજ ફોર્ટીફાઈડ તત્વોનો ઉપયોગ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્ત ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને તદુરસ્ત દેશ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં મોટો ભાગ ભજવશે.
આ વર્કશોપમાં ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવશ્રી સંજય મોદીએ આ વર્કશોપની અગત્યતા સમજાવતા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
ફોર્ટીફાઈડ ચોખા બાબતે જનમાનસમાં પ્રવતતી ગેરમાન્યતાઓ દૂર કરી લોકોને સાચુ માર્ગદર્શન મળી રહે તે માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારોના ૩૩૫ સંચાલકોને જુદા જુદા વિષયોના તજજ્ઞોએ પ્રેઝેન્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવશ્રી સંજય મોદી, કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, વલસાડ અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ નિલેશ કુકડિયા અને કેતુલ ઈતાલિયા, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહ, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઇ, સસ્તા અનાજની દુકાનના સંચાલકો અને આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

Leave a Comment